PNB Scam : ચોરી ઉપર શિરજોરી, નિરવ મોદીએ કહ્યું તમારો વાંક
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી તેવા નિરવ મોદીએ એક પત્ર લખીને બેંકનો વાંક કાઢ્યો છે. જેમાં તેણે કહ્યું કે દેવાની વાત જાહેર કરીને બેંકે તેને દેવું પાછું આપવાની તમામ સંભાવનાઓ બંધ કરી દીધી છેે. ત્યારે આ અંગે
PNB Scam ના માસ્ટરમાઇન્ડ નિરવ મોદી હાલ ફરાર છે. હાલ તે વાતની પણ સ્પષ્ટતા નથી થઇ કે તે ક્યાં છે. પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરનાર નિરવ મોદીએ હવે એક પત્ર લખી આ મામલે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે પીએનબીએ આ વાતને સાર્વજનિક કરીને જે દેવુ છે તેને ચૂકવવા તમામ રસ્તાઓ પણ બંધ કરી દીધા છે. નિરવ મોદીએ દાવો કર્યો છે કે પીએનબી જેટલી રકમ જણાવી રહી છે તેના કરતા સાચી રકમ ખૂબ જ ઓછી છે. નિરવ મોદીએ આ પત્ર ગત 15/16 ફેબ્રુઆરીએ લખ્યો હતો. આ પત્રમાં નિરવ મોદીએ પોતાની વાત રાખતા જણાવ્યું હતું કે તેનું પાસે ખાલી 5,000 કરોડ જેટલું જ દેવું છે. બેંકને લખેલા આ પત્રમાં નિરવ મોદીએ કહ્યું કે મારી કંપનીઓ વિરુદ્ધ દરોડા અને સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે કારણે મારી દેવુ ચૂકવવાની ક્ષમતા હવે નથી રહી.
નિરવ મોદીએ કહ્યું કે 13 ફેબ્રુઆરીએ મારી રજૂઆત પછી પણ બેંકે 15મી ફેબ્રુઆરીના રોજ આ જાણકારીને સાવર્જનિક કરી દીધી છે.બેંકની આ કાર્યવાહીએ મારી બ્રાંડ અને મારા વેપારને પાયમાલ કરી નાંખ્યા છે. જેના કારણે દેવુ ચૂકવવાની મારી ક્ષમતા ઓછી થઇ ગઇ છે. સાથે જ નિરવ મોદીએ 13 અને 15 ફેબ્રુઆરીએ મોકલેલ ઇમેલની વાત પણ ઉચ્ચારી છે.
બીજી તરફ પંજાબ નેશનલ બેંકે તેની સાથે થયેલા 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી તેવા નિરવ મોદી પાસે દેવું ચૂકવવા માટે પર્યાપ્ત સંપત્તિ હોવાનો દાવો કર્યો છે. પીટીઆઇના હવાલે આવેલી ખબર મુજબ પીએનબીએ તે વાત સ્પષ્ટ કરી છે કે નિરવ મોદી પાસે તેટલી સંપત્તિ છે જેનાથી તે તેનું દેવું ચૂકવી શકે. નોંધનીય છે કે આ મામલે મુંબઇની પીએનબીની બ્રાંચના 3 અધિકારીઓ સમેત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને હજી પણ સુરત, વડોદરા, મુંબઇ, દિલ્હી, કોલકત્તા જ્યાં જ્યાં તેની સહયારી કંપનીઓ કે શોરૂમ છે ત્યાં ઇડી દ્વારા રેડ અને તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં અત્યાર સુધીમાં 5,694 કરોડ રૂપિયાના હિરા, સોનાની જ્વેલરી અને કિંમતી પથ્થરો દરોડા પાડતી વખતે અધિકારીઓ જપ્ત કર્યા છે. ત્યારે કરોડોનું દેવું કરી વિદેશ ભાગી ચૂકેલા નિરવ મોદીએ ચોરી ઉપર શિરજોરીની જેમ આખી વાતમાં પોતાનો વાંક નીકાળવાને બદલે પંજાબ નેશનલ બેંકનો જ વાંક નીકાળ્યો છે. અને દેવું ભરવા માટે પણ આનાકાની કરી રહ્યો છે.