અમરનાથ હુમલો:તોયબાનો આતંકી અબુ ઇસ્માઇલ હતો માસ્ટરમાઇન્ડ
જમ્મુ કાશ્મીર પોલીસે રવિવારે કહ્યું હતું કે, તેમણે અમરનાથના આતંકી હુમલાનો કેસ ઉકેલી લીધો છે.
અમરનાથના આતંકી હુમલાને લગભગ 1 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. આટલા સમય બાદ રવિવારે પત્રકાર પરિષદ યોજી જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો હતો કે, આ મામલો ઉકેલી લેવામાં આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને હુમલાખોરો અંગે જાણકારી મળી હતી. આતંકવાદીઓએ કોડ વર્ડ સ્થાનિક લોકો અને તેમના ઘરનો ઉપયોગ કરી આ હુમલાને અંજામ આપ્યો હતો. અમરનાથ હુમલા અંગે કાશ્મીરના આઇજીપી એ કહ્યું હતું કે, આ મામલામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે તમામ વાતો સ્પષ્ટતાથી જણાવી દીધી હતી.

આઇજી મુનીર ખાને આગળ જણાવ્યું હતું કે, સીઆરપીએફના વાહનો માટે તેમનો કોડ વર્ડ હતો 'બિલાલ' અને યાત્રીઓના વાહન માટે તેમનો કોડ વર્ડ હતો 'શૌકત'. આ સ્પષ્ટપણે એક આતંકી હુમલો હતો. પકડાયેલા આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ પોલીસ રિમાન્ડમાં છે. આ હુમલો પહેલાં 9 જુલાઇના રોજ કરવાની યોજના હતા, પરંતુ એ દિવસે સીઆરપીએફના વાહનો કે યાત્રી વાહનોની કોઇ અવર-જવર ન હોવાથી 10 જુલાઇના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો માસ્ટર માઇન્ડ અબુ ઇસ્માઇલ હતો.
પ્રાપ્ત જણકારી અનુસાર, 2 હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓના વિસ્તારમાં અને અન્ય જગ્યાઓએ સુરક્ષા દળોને નિશાન બનાવી પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, આતંકવાદીઓએ ગુજરાતથી આવેલ અમરનાથ યાત્રીઓથી ભરેલ એક મિની બસ પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બસ અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા માટે રજિસ્ટર્ડ નહોતી, આ કારણે જ બસમાં સુરક્ષા માટે પોલીસ પણ નહોતી.
આ હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલ હજુ પણ પકડાયો નથી. ભારતીય સેનાએ હાલમાં જ લશ્કર-એ-તોયબાના કમાન્ડર અબુ દુજાનાને ઠાર માર્યો હતો. કહેવાઇ રહ્યું છે કે, અબુ દુજાનાની જગ્યા હવે અબુ ઇસ્માઇલ લેશે. અબુ ઇસ્માઇલ પાકિસ્તાની આતંકી છે, તે કાશ્મીર ઘાટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સક્રિય છે. હાલ તે દક્ષિણ કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર છે. પંપોર આતંકી હુમલામાં પણ એનો હાથ હતો. આટલું જ નહીં, કાશ્મીરમાં નોટબંધી બાદ બેંક અને એટીએમ લૂંટની ઘટનાઓ પાછળ પણ અબુ ઇસ્માઇલનો હાથ હતો.
નોંધનીય છે કે, 10 જુલાઇના રોજ અનંતનાગ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 7 તીર્થયાત્રીઓનું મૃત્યુ થયું હતું અને 21 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલો રાત્રે લગભગ 8.20એ થયો હતો. આ હુમલામાં મૃત્યુ પામેલ યાત્રીઓમાં 5 મહિલાઓ પણ હતી.












Click it and Unblock the Notifications
