Port Blair Case: રેપના આરોપી IAS અધિકારીને કેન્દ્રએ કર્યા સસ્પેન્ડ
કેન્દ્ર સરકારે બળાત્કારના આરોપી વરિષ્ઠ અધિકારી જીતેન્દ્ર નારાયણને સસ્પેન્ડ કરી દીધા છે.
Port Blair Rape Case: અંદમાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં એક યુવતીએ બે અધિકારીઓ પર સામૂહિક બળાત્કારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્ય સચિવનુ નામ પણ સામેલ હતુ. આ ગંભીર મામલામાં મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે બળાત્કારના આરોપી વરિષ્ઠ અધિકારી જીતેન્દ્ર નારાયણને સસ્પેન્ડ કરી દીધા છે. મળતી માહિતી મુજબ 21 વર્ષીય પીડિતા નોકરીની શોધમાં હતી જેને શિકાર બનાવવામાં આવી.
ગૃહ મંત્રાલયે વરિષ્ઠ અધિકારી જિતેન્દ્ર નારાયણને સસ્પેન્ડ કરી દીધા છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (યુટી વિભાગ) આશુતોષ અગ્નિહોત્રીએ જણાવ્યુ હતુ કે, MHAએ આજે AGMUT કેડરના 1990 બેચના વરિષ્ઠ IAS અધિકારી અને અંદમાન અને નિકોબાર ટાપુઓના તત્કાલીન મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણને એક મહિલાના કથિત રીતે જાતીય શોષણના આરોપસર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે જણાવ્યુ હતુ કે કથિત જાતીય સતામણી અંગે 16 ઓક્ટોબરે MHAને અંદમાન અને નિકોબાર પોલીસ તરફથી રિપોર્ટ મળ્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહેવાલમાં જિતેન્દ્ર નારાયણ તરફથી ગંભીર ગેરવર્તણૂક અને સત્તાવાર પદનો દુરુપયોગ સૂચવવામાં આવ્યો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રીએ કાયદા મુજબ સંબંધિત અધિકારી સામે તાત્કાલિક કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
આશુતોષ અગ્નિહોત્રીએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તેના અધિકારીઓ દ્વારા અનુશાસનહીન કૃત્યો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, ભલે તે કોઈ પણ હોદ્દા પર હોય અને કોઈ પણ સ્થિતિ હોય, ખાસ કરીને મહિલાઓનુ ગૌરવ. અંદમાન અને નિકોબાર પોલીસની SIT દ્વારા ક્રિમિનલ કેસમાં FIR અલગથી નોંધવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે 22 ઓગસ્ટે યુવતીએ પોર્ટ બ્લેર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના પર પોલીસે કાર્યવાહી કરી અને 1 ઓક્ટોબરે એફઆઈઆર નોંધી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ આરોપી અધિકારીઓમાં એક આઈએએસ ઑફિસર જિતેન્દ્ર નારાયણ છે, જ્યારે બીજો આરએલ ઋષિ છે, જે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં લેબર કમિશનર તરીકે તૈનાત છે. આરોપી IAS અધિકારી જિતેન્દ્ર નારાયણ હાલમાં દિલ્લી ફાઇનાન્સિયલ કૉર્પોરેશનમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોસ્ટેડ છે. FIRમાં બંનેના નામ છે.