વાયુસેનાના પહેલા અશોક ચક્રથી સન્માનિત કમાન્ડો, 31 વર્ષે શહીદ
ગણતંત્ર દિવસની નિમિત્તે દેશના વીર જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતીય વાયુસેનાના ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રસાદ નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
આજે 26મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસની નિમિત્તે દેશના વીર જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતીય વાયુસેનાના ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રસાદ નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોક ચક્ર શાંતિના સમયે ભારત સરકાર તરફથી આપવામાં આવતો પુરસ્કાર છે. આ સન્માન સૈનિકોને તેમની અસાધારણ વીરતા, શૂરતા અને બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. શહીદ જ્યોતિ નિરાલાએ વર્ષ 2017માં જમ્મુ-કશ્મીરમાં થયેલા એક આંતકવાદી હુમલામાં એકલા હાથે ત્રણ આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. તેમની આ વીરતાના કારણે તેમને અશોક ચક્રથી નવાજવામાં આવ્યા છે.
આતંકી છુપાયા હોવાની મળી હતી સૂચના
આ એન્કાઉન્ટર જમ્મુ- કાશ્મીરના હાજિન વિસ્તારમાં થયો હતો. સેનાને સૂચના મળી હતી કે હાજિન વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના પ્રમુખ જકીઉર રહમાન લખવીના ભત્રીજા સાથે બીજા કેટલાક આંતકવાદીઓ છુપાયેલા છે. સૂચના મળતા જ સેનાએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યુ. એક બે નહી પરંતુ પુરા 6 આંતકવાદીઓ એ વિસ્તારમાં છુપાયેલા હતા.
આંતકવાદીઓને કર્યા ઠાર
સેનાના જવાનો જેવા તે વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત આંતકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કર્યું. એ સમયે ત્યાં હાજર વાયુસેનાના કમાન્ડો જ્યોતિ નિરાલા પોતે પણ મશીનગન લઇને આંતકવાદીઓ પર તુટી પડ્યા હતા. તેમણે એકલા એ 3 આંતકવાદીઓને મોતને ઘાટ ઊતાર્યા હતા. આ ઘટનામાં તેમને પણ ગોળીઓ વાગી હતી અને તેઓ શહીદ થયા હતા.
માત્ર 31 વર્ષે શહીદ
બિહારના રોહતાસ જિલ્લામાં રહેતા કમાન્ડો જ્યોતિ નિરાલા માત્ર 31 વર્ષની ઉંમરે શહીદ થયા હતા. જ્યોતિ નિરાલાના પરિવારની વાત કરવામાં આવે તો તેમના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા અને તેમની ત્રણ અવિવાહીત બહેનો છે. તેમની અદ્ભુત વીરતા અને સાહસ માટે ભારત સરકાર દ્વારા તેમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2005માં વાયુસેનામાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે, જ્યોતિ નિરાલા વાયુસેનાના પહેલા ગરૂડ કમાન્ડો છે જેમને વીરતાના સર્વોચ્ચ સન્માન, અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યોતિ નિરાલા વર્ષ 2005માં વાયુ સેનામાં જોડાયા હતા. તેમની વીરતા, માં ભારતીની રક્ષાની અદમ્ય ઇચ્છા તથા તેમના બલિદાનને દેશ સલામ કરે છે.