પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે મુલાકાત, ત્રણ દિવસમાં બીજી વાર પહોંચ્યા કોંગ્રેસ અધ્યક્ષના ઘરે
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીની મુલાકાત કરી છે.
નવી દિલ્લીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીની મુલાકાત કરી છે. પ્રશાંત કિશોર સોમવારે સાંજે સોનિયા ગાંધીના દિલ્લી સ્થિત આવાસ પર પહોંચ્યા જ્યાં તેમણે કોંગ્રેસના મોટા નેતાઓ સાથે બેઠક કરી. આ પહેલા શનિવારે પણ પ્રશાંત કિશોર સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા હતા. એવામાં ત્રણ દિવસની અંદર પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે આ બીજી મુલાકાત છે.
સોમવારે પ્રશાંત કિશોર સાથે બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી, અંબિકા સોની, પી ચિદમ્બરમ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને રણદીબ સિંહ સુરજેવાલા પણ હાજર હતા. પ્રશાંત સાથે કોંગ્રેસ નેતાઓની આ બેઠક લગભગ ચાર કલાક ચાલી હતી. શનિવારે થયેલી બેઠકમાં પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, એકે એંટની, અંબિકા સોની, જયરામ રમેશ, અજય માકન જેવા નેતાઓ સામે 2024ની સામાન્ય ચૂંટણી માટે પોતાનુ મંતવ્ય રાખ્યુ.
સૂત્રોના હવાલાથી આવેલા સમાચાર મુજબ, પ્રશાંત કિશોરને માત્ર સલાહકાર ન બનાવીને પાર્ટીમાં શામેલ થવા અને નેતા તરીકે કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોર જાણીતા ચૂંટણી રણનીતિકાર છે. તેઓ ભાજપ, કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી જેવા ઘણા મોટા દળો સાથે કામ કરી ચૂક્યા છે.