દિવાળી 2017: PM મોદીએ કહ્યું, જવાનો મારા પરિવાર સમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળીની ઉજવણી જમ્મુ-કાશ્મીર ખાતે ભારતીય સેનાના જવાનો સાથે કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વડપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે સેનાના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરે છે. આ વર્ષે દિવાળીની ઉજવણી માટે પીએમ મોદી કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પહોંચ્યા હતા અને અહીં લગભગ 2 કલાક રોકાયા હતા. તેમણે અહીં જવાનોને મિઠાઇ વહેંચી હતી અને કેટલાકને પોતાના હાથ મિઠાઇ ખવડાવી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા આર.કે.સિંહ પણ પહોંચ્યા હતા. તેમણે અહીં સંબોધન પણ કર્યું હતું. આ પહેલાં પીએમ મોદીએ ટ્વીટર પર દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. વર્ષ 2014માં પીએમ મોદીએ સિયાચિનમાં સેના સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સૌની માફક મને પણ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવવાની ઇચ્છા થાય છે, આથી જ હું અહીં આવું છું. તમે સૌ(ભારતીય સેનાના જવાનો) મારા માટે પરિવાર સમાન છો. જ્યારે હું જવાનો અને સૈનિકો સાથે સમય પસાર કરું છું ત્યારે મારામાં નવી ઊર્જા આવે છે. સાથે જ પીએમ મોદીએ કઠોર પરિસ્થિતિમાં જવાનોએ કરેલ ત્યાગ અને તપસ્યાના પણ વખાણ કર્યા હતા. તેમણે આગળ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળોના કલ્યાણ અને સુધારણા માટે કટિબદ્ધ છે. તેમણે OROPના અમલીકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોમાંથી પોતાની ફરજ પૂરી કરીને નીકળેલ જવાનો ઉત્તમ યોગા ટ્રેનર બની શકે છે.
વર્ષ 2015માં ડોગરાઈ વોર મેમોરિયલ ખાતે તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ગત વર્ષ 2016માં તેમણે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ચીન સેના પર ફરજ બજાવતા આઈટીબીપી જવાનો સાથે દિવાળી ઉજવી હતી. તો બીજી બાજુ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અંદમાન-નિકોબારમાં ત્રણેય સેનાઓના કમાન સાથે દિવાળી ઉજવનાર હતા. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારથી બે દિવસ માટે રક્ષામંત્રી અંદમાન-નિકોબારની મુલાકાતે છે. કહેવાઇ રહ્યું છે કે, આ દરમિયાન તેઓ જવાનોના પરિવારજનો સાથે વાતચીત કરશે.