કર્ણાટક વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર હટાવવાની કૉંગ્રેસની માંગ સુપ્રીમે ફગાવી
કર્ણાટકમાં રાજકીય નાટકબાજી ચરમસીમા પર છે. મુખ્યપ્રધાન પદે યેદીયુરપ્પાને આમંત્રણ આપ્યા બાદ સતત અદાલતી હસ્તક્ષેપ પણ સામે આવી રહ્યો છે. ત્
કર્ણાટકમાં રાજકીય નાટકબાજી ચરમસીમા પર છે. મુખ્યપ્રધાન પદે યેદીયુરપ્પાને આમંત્રણ આપ્યા બાદ સતત અદાલતી હસ્તક્ષેપ પણ સામે આવી રહ્યો છે. ત્યાર બાદ, રાજ્યપાલે પ્રોટેમ સ્પીકર તરીકે કરેલી કેજી બાપૈયાની નિમણૂંકમાં કૉંગ્રેસે અદાલતનાં દ્વાર ખખડાવ્યા હતાં. જ્યાં, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી દ્વારા કરવામાં આવેલી દલીલો પછી સુપ્રીમે ચુકાદો આપ્યો છે કે, ફ્લોર ટેસ્ટમાં પ્રોટેમ સ્પીકર કેજી. બોપૈયા જ રહેશે. ફ્લોર ટેસ્ટ નિર્ધારિત કરેલા સમયે સાંજે 4 વાગે જ કરવામાં આવશે. તેમજ, ફ્લોર ટેસ્ટ દરમિયાનની પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ કરવા પણ આદેશ કર્યો છે.
પ્રોટેમ સ્પીકર પાસે કર‘નાટક’ની મુખ્ય બાજી
સુપ્રીમ કોર્ટના આદેશના થોડા કલાક બાદ જ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપના ધારાસભ્ય કે.જી. બોપૈયાને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરી દીધા. જોકે, આ નિર્ણય સામે ફરી એક વખત કોંગ્રેસ રાતે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ મામલે સવારે 10.30 કલાકે સુનાવણી શરૂ થઈ હતી. કૉંગ્રેસે કેજી બાપૈયાની નિમણૂંક સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના ભૂતકાળના નિર્ણય અને કામગીરીને આગળ ધરીને તેમને હટાવી અન્ય સિનિયર મોસ્ટ ધારાસભ્યને નિયુક્ત કરવા માંગ કરી હતી. પરંતું, ચુકાદો કોંગ્રેસના વિરુદ્ધમાં આવ્યો છે. સુપ્રીમે કેજી બાપૈયાની નિમણૂંકને યોગ્ય ઠરાવી હતી. ત્યારે, હવે વિધાનસભામાં વિશ્વાસમતની સઘળી રમતનો મદાર પ્રોટેમ સ્પીકર પાસે છે.
કે.જી.બોપૈયાએ 10 વર્ષ પહેલાં પણ બીજેપીને કરી હતી મદદ
10 વર્ષ પહેલાં 2008માં કેજી બોપૈયા પ્રોટેમ સ્પીકર રહી ચૂક્યા છે. નિયમ પ્રમાણે સૌથી સીનિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2010માં સ્પીકર રહ્યા તે દરમિયાન બોપૈયાએ ભાજપના 11 બળવાખોર અને પાંચ અપક્ષના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરીને સરકાર બચાવવામાં યેદિયુરપ્પાની મદદ કરી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરીને તેમનો નિર્ણય રદ કર્યો હતો. ત્યારે, કેજી બાપૈયા ફરીથી કટોકટીની આ નિર્ણાયક ઘડીએ ભાજપના તારણહાર બની શકે છે.
યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયાએ લીધા શપથ
આજે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાનું ભાવિ નક્કી થશે. તેઓ મુખ્યપ્રધાન પદે રહેશે કે જશે તેનો ફેંસલો થઈ જશે. આજે સાંજે 4 વાગે સદનમાં પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા ફ્લોર ટેસ્ટ પાસ કરાવશે. જેને લઈને આજે સવારે 11 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ જેમાં ચૂંટાયેલા નેતાઓને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સૌપ્રથમ મુખ્યપ્રધાન યેદિયુરપ્પા અને પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ધારાસભ્ય તરીકે પહેલા શપથગ્રહણ કર્યા. આ ઉપરાંત યેદિયુરપ્પા અને શ્રીરામુલુએ સાંસદ પદેથી પોતાના રાજીનામાં સ્પીકરને સોપ્યા હતા.