લુધિયાણામાં 65 હેલ્થ સેન્ટર બનશે આમ આદમી ક્લીનિક, કરાશે અપગ્રેડ
લુધિયાણા જિલ્લાના લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
ચંદીગઢઃ લુધિયાણા જિલ્લાના લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 65 પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રો અને શહેરી દવાખાનાઓને આમ આદમી ક્લીનિકમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ફેરફાર માટે એજન્સીના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે, જેને ક્લિનિક તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. દરેક ક્લિનિકનો અંદાજિત ખર્ચ 25 લાખ રૂપિયા છે. આ કામ 26 જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમનુ ઉદ્ઘાટન પ્રજાસત્તાક દિવસે કરવામાં આવશે.
પંજાબમાં સત્તામાં આવ્યા પછી તરત જ આમ આદમી પાર્ટીની સરકારે જાહેરાત કરી હતી કે તે લોકોને વધુ સારી સુવિધાઓ આપશે. આ માટે દિલ્લીની જેમ આમ આદમી ક્લીનિક તૈયાર કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણાથી આ ક્લીનિક્સની શરૂઆત કરી હતી. હાલમાં લુધિયાણામાં નવ મોહલ્લા ક્લીનિક્સ કાર્યરત છે, જ્યાં લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહી છે. વળી, સરકારે નિર્ણય લીધો હતો કે આ યોજનાઓને વધુ વિસ્તૃત કરવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં ચાલતી અર્બન ડિસ્પેન્સરીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નવજીવન આપવામાં આવશે અને મોહલ્લા ક્લીનિક્સમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ યોજના હેઠળ લુધિયાણા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી દવાખાનાના કાયાકલ્પ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. દરેક કેન્દ્રનુ કામ કયા વિભાગે કરવાનુ છે તે પણ નક્કી કરવામાં આવ્યુ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી દવાખાનાઓ સહિત આમ આદમી ક્લિનિક્સ સ્થાપવા માટે 65 જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. ક્લિનિક પર 25 લાખ રૂપિયા ખર્ચ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. કામ પર દેખરેખ રાખવા માટે વિવિધ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. જેનો ખર્ચ આરોગ્ય વિભાગ ભોગવશે. આ કામ ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમ અમિતકુમાર પંચાલ, એડીસી (ડી) લુધિયાણાએ જણાવ્યુ હતુ.