પંજાબ સરકારની આટા-દાલ યોજના અધવચ્ચે અટવાઈ, આ છે કારણ!
પંજાબ સરકારની મહત્વાકાંક્ષી આટા-દાળ યોજના આડે અવરોધ ઊભો થયો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા આ યોજના પર ફરીથી રોક લગાવવામાં આવી છે. અગાઉ હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ યોજના પર સ્ટે મુક્યો હતો.
ચંદીગઢ : પંજાબ સરકારની મહત્વાકાંક્ષી આટા-દાળ યોજના આડે અવરોધ ઊભો થયો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા આ યોજના પર ફરીથી રોક લગાવવામાં આવી છે. અગાઉ હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ યોજના પર સ્ટે મુક્યો હતો. આ યોજનામાં ડેપો ધારકોને બદલે અન્ય એજન્સીઓ દ્વારા ઘરે-ઘરે રાશન પહોંચાડવાની યોજના હતી. આ યોજના 1 ઓક્ટોબરથી શરૂ થવાની હતી.
પંજાબ સરકારે દિલ્હીની AAP સરકારની તર્જ પર ઘરે-ઘરે રાશન પહોંચાડવાની યોજના બનાવી હતી. આ યોજના દિલ્હીમાં સાકાર ન થઈ શકી, પરંતુ માન સરકારે પંજાબમાં તેને લાગુ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. પરંતુ તે દરમિયાન ભટિંડાના NFSA ડેપો હોલ્ડર વેલ્ફેર એસોસિએશને આ યોજનાને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
એસોસિએશને જણાવ્યું કે, તેના સભ્યો પંજાબમાં વાજબી ભાવની દુકાનો ચલાવે છે. પંજાબ સરકારે યોજના બનાવી છે કે હોમ ડિલિવરી દ્વારા રાશન સીધા લાભાર્થીઓના ઘરે પહોંચાડવામાં આવશે. અરજદારોએ કહ્યું કે તેમની પાસે ડેપો માટે યોગ્ય લાઇસન્સ છે અને અત્યાર સુધી તેઓ લાભાર્થીઓને રાશન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. હવે સરકારે ખાનગી કંપની મારફત સીધો જ લાભાર્થીઓના ઘરે પીસેલી લોટ પહોંચાડવાની યોજના બનાવી છે.
અરજદારોએ કહ્યું કે, સરકારનો આ નિર્ણય બંધારણની જોગવાઈઓથી વિરુદ્ધ છે. ભારત સરકારે જાહેર વિતરણ પ્રણાલીની રચના કરી છે અને અનાજનું વિતરણ આ સિસ્ટમ દ્વારા જ થવું જોઈએ. પરંતુ પંજાબ સરકાર આવું કરી રહી નથી. પંજાબ સરકારે ખાનગી કંપનીઓને લાવીને વાજબી ભાવની દુકાનોને બાયપાસ કરી છે.
અરજીમાં પંજાબ સરકારની આ યોજનાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે એવી પણ માંગ કરવામાં આવી છે કે પંજાબ સરકારને આદેશ આપવામાં આવે કે પંજાબમાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે ચેડાં ન થાય. સિંગલ બેન્ચે પંજાબ સરકારને નોટિસ જારી કરીને સ્કીમ પર સ્ટે મુક્યો છે. પંજાબ સરકાર પ્રતિબંધના વિરોધમાં ડિવિઝન બેંચ સમક્ષ પહોંચી હતી.
ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચને આદેશ પર પુનર્વિચાર કરવા જણાવ્યું હતું. આ પછી, સિંગલ બેન્ચે સ્ટે હટાવીને અરજીને ડિવિઝન બેંચને મોકલી હતી. હવે ડિવિઝન બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા આ યોજના હેઠળ થર્ડ પાર્ટીને લાભ આપવા પર સ્ટે મુક્યો છે.