જિંદગીઓ બચાવનાર લોકોને જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે માન સરકાર, પંજાબમાં શરુ થયુ આ અભિયાન
જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે.
નવાંશહરઃ જિંદગીઓ બચાવનારા લોકોને ભગવંત માન સરકાર જીવનરક્ષા પદકોથી સમ્માનિત કરશે. આના માટે એક પહેલ શરુ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે રાજ્યના બધા ડીઈઓ(સેકન્ડરી અને પ્રાઈમરી)ને પત્ર લખીને પોત-પોતાના જિલ્લાઓમાં આવા લોકોને શોધીને તેમની માહિતી માંગી છે. ડીઈઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાના જિલ્લામાં આવા લોકોની માહિતી એકઠી કરીને કોઈ પણ સ્થિતિમાં 25 ઓગસ્ટ પહેલા વિભાગને મોકલે.
સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે, 'જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને તમે તેનો જીવ બચાવવામાં મદદ કરી હોય તો આવા કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા જીવન રક્ષા પદક એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક છે. આ પુરસ્કાર કોઈનો જીવ બચાવવા માટે મરણોત્તર પણ આપી શકાય છે. પંજાબમાં એવા ઘણા લોકો છે જેમણે બીજાના જીવ બચાવ્યા છે. રાજ્ય સરકાર જીવન રક્ષા પદક દ્વારા આવા લોકોનુ સન્માન કરશે.'
સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યુ છે કે જે લોકોએ જીવ બચાવ્યા છે તેઓ www.awards.gov.in પર જઈને ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. તેમના સાહસિક કાર્યોની માહિતી વધુમાં વધુ 200 શબ્દોમાં આપવાની રહેશે. જેમાં પ્રભાવિત વ્યક્તિ અને તેની મદદ કરનાર વ્યક્તિની પણ માહિતી આપવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 ઓગસ્ટ પહેલા 2022 માટે જીવન રક્ષા પદક પુરસ્કાર માટે અરજીઓ માંગી છે.
સરકારી પ્રવક્તાએ કહ્યુ કે જીવન રક્ષા પુરસ્કાર અશોક ચક્રની એક શાખા છે. તેમણે કહ્યુ કે જીવન રક્ષા પદક એવા લોકોને આપવામાં આવે છે જેઓ ડૂબવાથી, અકસ્માતના કેસ, આગની ઘટનાઓ, વીજળી પડવાથી લોકોને બચાવવામાં મદદ કરે છે. સરકારે ડીઈઓ સહિત તમામ સરકારી વિભાગોના વડા સહિત તમામ ડીસીને પત્ર પાઠવ્યો છે. આ માટે ઈચ્છુક લોકોએ ભલામણ કરતા પહેલા લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. જેમની પાસે પહેલાથી જ લૉગ-ઈન આઈડી અને પાસવર્ડ છે તેઓ સીધા જ પોર્ટલને એક્સેસ કરી શકે છે.