CM માનના નિર્દેશ બાદ પોલીસનુ 90 દિવસનુ વિશેષ અભિયાન, નફરતવાળા ભાષણ આપવા પર થશે કેસ
પંજાબ પોલીસ રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો અને નફરત ફેલાવતા ભાષણો સામે વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે.
ચંદીગઢઃ પંજાબ પોલીસ રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો અને નફરત ફેલાવતા ભાષણો સામે વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 90 દિવસ સુધી ચાલશે. આ ઝુંબેશ દરમિયાન પોલીસની જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવશે. દરેક જિલ્લાના અધિકારીઓ આ સમગ્ર કામગીરી પર ચાંપતી નજર રાખશે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે કહ્યુ કે ગેરકાયદેસર હથિયાર, અભદ્ર ભાષાના મામલામાં કોઈપણ સમુદાય વિરુદ્ધ એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અભિયાન દરમિયાન સરનામાની ચકાસણી કરવામાં આવશે. નકલી સરનામાં પર જાહેર કરાયેલ લાયસન્સ રદ કરવામાં આવશે. આ સાથે ઈન્ટરનેટ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. ગીતોમાં કે ઈન્ટરનેટ મીડિયા પર હથિયારનો ઉપયોગ કરતા યુવાનોની ઓળખ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં આર્મ્ડ લાયસન્સની સમીક્ષા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા જણાવાયુ હતુ. હવે આ માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે. શિવસેના તક્સલીના નેતા સુધીર સૂરીની હત્યા બાદ સરકારને હથિયારોની સમીક્ષા કરવાનુ કહેવામાં આવ્યુ હતુ.
વધતા જતા ગુનાખોરીના મામલામાં તપાસમાં એ વાત સામે આવી રહી છે કે ઘટના સમયે ક્યાંકને ક્યાંક લાયસન્સ અથવા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા હથિયારોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સુરીની હત્યામાં પણ લાયસન્સવાળા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આ મામલાની તપાસ દરમિયાન એ વાત સામે આવી રહી છે કે આ હત્યા કોઈના ઈશારે કરવામાં આવી નથી પરંતુ ઘણી ગેંગ ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ હત્યાની જવાબદારી લઈ રહી છે. હત્યા બાદ એકબીજા સમુદાય પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જે બાદ આ વિશેષ અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.