તો શું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે માની ગયા છે રાહુલ ગાંધી? ચિંતન શિબિરમાં થઈ શકે છે એલાન
કોંગ્રેસ પક્ષના મોટા નેતાઓનુ માનવુ છે કે રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદનો સ્વીકાર કરવો જોઈએ.
નવી દિલ્લીઃ રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર શરુ થવા જઈ રહી છે. આ ચિંતન શિબિરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પાર્ટીના મોટા નેતા એકઠા થશે. શિબિરમાં પાર્ટીના સંગઠન પર ચર્ચા થશે. સાથે જ વિશે પણ મંથન થશે કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના પડકારોનો 2024માં સામનો કરી શકાય. પાર્ટીના મોટા નેતાઓનુ માનવુ છે કે રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદનો સ્વીકાર કરવો જોઈએ. સૂત્રોની માનીએ તો પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદનો સ્વીકાર કરવો જોઈએ.
ફરીથી સંભાળી શકે છે કમાન
રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદનો સ્વીકાર કરવા માટે તૈયાર છે. ત્યારબાદ બેઠકમાં એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો કે પાર્ટીના અધ્યક્ષ પદ માટે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી કરાવવામાં આવે. પરંતુ ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે આ પ્રક્રિયાને વધુ પહેલા કરવી જોઈએ. 2019ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ અને સોનિયા ગાધી એક વાર ફરીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બની ગયા હતા. પરંતુ ઉદયપુરમાં થનારી ચિંતન શિબિરમાં માનવામાં આવી રહ્યુ છે કે પાર્ટીના અધ્યક્ષ પદને લઈને મોટો નિર્ણય થઈ શકે છે.
2019ની હાર બાદ રાહુલ ગાંધીએ આપ્યુ હતુ રાજીનામુ
હાલમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જે રીતે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો તેની પણ આ ચિંતન શિબિરમાં ચર્ચા થઈ શકે છે. છેલ્લા આઠ વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ જેવા કેટલાક મહત્વના રાજ્યોમાંથી પણ કોંગ્રેસની વિદાય થઈ છે જે પાર્ટી માટે ચિંતાનો વિષય છે. તમને જણાવી દઈએ કે આગામી ચિંતન શિબિર 13મી મેના રોજ સોનિયા ગાંધીના પ્રારંભિક ભાષણથી શરૂ થશે અને 14મી મેના રોજ રાહુલ ગાંધીના ભાષણ સાથે સમાપ્ત થશે.
બળવાખોર નેતાઓને છે આશા
વળી, પાર્ટીના બળવાખોર નેતાઓને આશા છે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને પાર્ટી કેટલાક કડક નિર્ણયો લેશે. તેમને વિશ્વાસ છે કે પક્ષ એક પરિવારમાં એક ટિકિટની નીતિ સાથે પછાત, નબળા વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ વધારીને આગળ વધશે. ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીનું ભાષણ થશે અને આ દરમિયાન અનેક સંકલ્પો પણ જાહેર કરવામાં આવશે.
ચેતક એક્સપ્રેસથી 60 નેતાઓ પહોંચશે ઉદયપુર
નોંધનીય વાત એ છે કે આ ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે પાર્ટીના 60 નેતાઓ ચેતક એક્સપ્રેસ દ્વારા ઉદયપુર પહોંચશે. વળી, તમને જણાવી દઈએ કે પાર્ટીની અંદર આ ચિંતન શિબિર 19 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ કહ્યું કે અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિર્ણય થવાની અપેક્ષા છે, 19 વર્ષ પછી પાર્ટી આ ચિંતન શિબિર યોજવા જઈ રહી છે, આ એક સારી શરૂઆત છે, લોકોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળવી જોઈએ. અમને આશા છે કે આવું થશે અને પાર્ટી 2024 માટે મજબૂત રહેશે.