કોંગ્રેસને દેશમાંથી ખદેડવાના મોદીના વિચાર પર કોંગી નેતા વિફર્યા
નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગઇકાલે બુધવારે ભોપાલમાં લાખોની જનમેદનીને સંબોધી હતી. જેમાં તેમણે કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં કોંગ્રેસી નેતાઓએ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા રાજ બબ્બરે જણાવ્યું હતું કે મોદી ઇતિહાસ સાથે ચેડા કરી રહ્યા છે, તેમને ખ્યાલ હોવો જોઇએ કે ગબ્બરની અંતમાં શું દશા થાય છે.
રાજ બબ્બરે જણાવ્યું કે 'મોદી સીબીઆઇનો મુદ્દો લાવીને લોકોનું ધ્યાન અસલ મુદ્દાઓ પરથી હટાવી રહ્યા છે. અમારી પાર્ટીએ ક્યારેય સીબીઆઇના કામમાં દખલ નથી કરી. મોદી અને બીજેપી દુષ્પ્રચાર કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ભોપાલની રેલીમાં કોંગ્રેસને દેશમાંથી ખદેડવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નહીં ઉભી રહે પરંતુ સીબીઆઇ ઉભી રહેવાની છે.