કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી, નરેન્દ્ર મોદી પ્રજામાં લોકપ્રિય: રામદેવ
આગરા, 3 એપ્રિલ: યોગ ગુરૂ બાબા રામદેવ એક તરફ કોંગ્રેસની ઘોર ટીકા કરી રહ્યાં છે તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસંશા કરી છે. રામદેવે મંગળવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શાસનથી દેશની જનતા ઉબી ગઇ છે. 2014ની લોકસભાની ચુંટણી તેનો પૂર્ણરૂપે સફાયો થઇ જશે.
એક કાર્યક્રમાં ભાગ લેવા માટે આવેલા બાબા રામદેવે મીડિયા સાથે વાતચીત કરતાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે હાલમાં એક રાજકીય વિકલ્પની જરૂરીયાત છે, કારણ કે કોંગ્રેસની સરકાર આત્મઘાતી, કુલઘાતી અને રાષ્ટ્ર વિરોધી છે. દેશના રાજકીય દળોએ દેશની જનતા સાથે દગો કર્યો છે અને 2014ની ચુંટણીમાં કેન્દ્રમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ જશે.
બાબા રામદેવે એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે ભાજપ અને સંઘ વડાપ્રધાન પદના દાવેદારના રૂપમાં નરેન્દ્ર મોદી અંગે નિર્ણય કરે તો આ એક સારો નિર્ણય હશે કારણ કે નરેન્દ્ર મોદી પ્રજાના લોકપ્રિય નેતા બની ચુક્યાં છે. તેમને કહ્યું હતું કે રાજકીય દળોએ દેશને સામાજિક, આર્થિક તથા રાજકીય આધાર પર વહેંચી દિધો છે. જેથી હવે પ્રજા તેમના પર વિશ્વાસ કરતી નથી.
ઉત્તર પ્રદેશમાં વધતા જતા અપરાધો પર તેમને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશથી વધું દિલ્હીમાં અપરાધ થાય છે પરંતુ તે તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થતું નથી કારણ કે કેન્દ્ર સરકાર દરરોજ એક નવો મુદ્દો છોડી દે છે.