નવી દિલ્હી, 8 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના માતા 8x8ના એક નાનકડા ઓરડામાં રહે છે. તેઓને મુસાફરી કરવા માટે રિક્ષા કરવી પડે છે. આ બાબતથી વ્યથિત કોંગ્રેસના નેતા રશિદ અલ્વીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે હું આપની માતાનું ધ્યાન રાખવાની રજૂઆત કરી છે. કારણ કે તમામ સંપત્તિ અને સફળતા મળવા છતાં નરેન્દ્ર મોદી પોતાની માતાને આરામદાયક જીવન આપી શક્યા નથી.
રશિદ અલ્વીએ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં એમ પણ જણાવ્યું છે કે 'હું એ સમજી શકતો નથી કે આપ શા માટે આપની માતાને આ ઉંમરે એક આરામદાયક જીવન પુરું પાડી શકતા નથી. તેમણે તો આપનું ભવિષ્ય સુંદર બનાવવા માટો પોતાનું સમગ્ર જીવન દાવ પર લગાવી દીધું છે.'
અલ્વીએ આગળ એમ પણ લખ્યું છે કે 'આપના માતા મારા માતા સમાન છે. મારા મનમાં તેમના માટે ખૂબ સન્માન છે. શક્ય છે કે મારી પાસે આપની પાસે છે એટલી સાધન સુવિધાઓ ના હોય, પરંતુ હું આપને આજીજી કરું છું કે આપ મને મંજુરી આપો કે હું મારી સ્થિતિ અનુસાર તેમને આરામથી જીંદગી જીવવાની તમામ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકું.'
અલ્વીએ એ બાબતે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે કે નરેન્દ્ર મોદી પોતાના પ્રચાર અભિયાનમાં અનેકવાર એવું જણાવે છે કે તેમના માતાએ તેમને એકલા હાથે ખુબ મુશ્કેલીઓ વેઠીને ઉછેર્યા છે. 'આપે જણાવ્યું છે કે કેવી રીતે તેમણે આસપાસના ઘરમાં કામ કરીને આપનો વ્યવસ્થિત ઉછેર થાય તેની તકેદારી રાખતા હતા.'
અલ્વીએ મોદીને જણાવ્યું કે 'આપના માતા હીરાબાએ આપને એટલી લગન અને મહેનતથી એટલા મોટા કર્યા અને કાબેલ બનાવ્યા કે આપ માત્ર ગુજરાતના મુખ્યમંત્રી જ નહીં પણ આપની પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર પણ બની શકો.'