કેરળમાં નિપાહ વાયરસ પાછળ ચામાચીડિયા હોવાનો રિસર્ચમાં ખૂલાશો!
કેરળના કોઝિકોડમાં આ મહિને નિપાહ વાયરસથી કિશોરના મોતથી રાજ્ય સરકારની ચિંતા વધી છે.
તિરુવનંતપુરમ, 29 સપ્ટેમ્બર : કેરળના કોઝિકોડમાં આ મહિને નિપાહ વાયરસથી કિશોરના મોતથી રાજ્ય સરકારની ચિંતા વધી છે. કોઝિકોડમાં આ કિશોરને નિપાહ વાયરસનો ચેપ લાગ્યાના લગભગ એક મહિના પછી પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીએ અભ્યાસના આધારે કહ્યું છે કે, આ વિસ્તારમાંથી એકત્રિત બેટના નમૂનાઓના પરીક્ષણમાં એન્ટિબોડીઝની હાજરી મળી આવી છે. જે બાદ ICMR હવે આ નમૂનાઓનો વધુ અભ્યાસ કરશે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે બુધવારે કહ્યું કે, એનઆઈવી પુણેએ અમારી સરકારને જાણ કરી છે કે નિપાહ વાયરસ સામે એન્ટિબોડીઝ ચોક્કસ સ્થળેથી ચામાચીડિયામાંથી એકત્રિત કરવામાં આવેલા કેટલાક નમૂનાઓમાં મળી આવી છે. ICMR આ અંગે વધુ અભ્યાસ કરી રહ્યું છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હાલ રાજ્યમાં નિપાહ વાયરસના કોઈ નવો કેસ નોંધાયા નથી.
કોઝિકોડના પાઝુર ગામના 12 વર્ષના કિશોર મોહમ્મદ હાશિમમાં નિપાહ વાયરસનો ચેપ જોવા મળ્યો હતો. આ પછી ચેપને કારણે 5 સપ્ટેમ્બરે તેનું મોત થયું હતું. એનઆઈવી પુણે દ્વારા આ બેટમાં એન્ટિબોડીઝની શોધથી આરોગ્ય વિભાગની માન્યતા મજબૂત થઈ છે કે છોકરાને તેનાથી જ ચેપ લાગ્યો હશે. નિપાહ ફાટી નીકળવા પાછળ ચામાચીડિયાનો દાવો પણ આનાથી મજબૂત થયો છે. જણાવી દઈએ કે મે 2018 માં નિપાહ વાઈરસના સંક્રમણની પ્રથમ પુષ્ટિ કેરળમાં થઈ હતી. તે સમયે 17 લોકોએ આ કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પછી એક મહિના પહેલા કોઝિકોડમાં આ મામલો સામે આવ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, નિપાહ વાયરસ મનુષ્યો અને પ્રાણીઓ બંનેમાં ફેલાય છે. તાવ, માથાનો દુખાવો, ઉલટી, સોજા અને માનસિક મૂંઝવણની ફરિયાદો રહે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ 24 થી 48 કલાકમાં કોમેટોઝ બની શકે છે. ચેપગ્રસ્ત લોકોમાં મૃત્યુ દર 9 થી 75 ટકા છે. સૌથી અગત્યની બાબત એ છે કે મનુષ્યો કે પ્રાણીઓમાં આ રોગનો ઈલાજ કરવા માટે હજુ સુધી કોઈ દવા બની નથી.