RJD નેતાએ કર્યા મોદીના વખાણ, કહ્યું 'પ્રધાનમંત્રી બનવા યોગ્ય'
બિહાર શરીફ, 14 ઑગસ્ટ: ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસકોમાં હવે રાષ્ટ્રીય જનતા દળના પણ નેતા જોડાવા લાગ્યા છે. રાજદના એક નગરપાલિકાના સભ્યએ અને વરિષ્ઠ નેતાએ માત્ર મોદીના વખાણ કર્યા એટલું જ નહીં પરંતુ તેમણે મોદીને પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા.
આરજેડીના એમએલસી નવલ કિશોર યાદવે બિહાર શરીફમાં પત્રકારો સાથે ચર્ચા કરતા કહ્યું કે મોદીની પાસે ભાષણ આપવાની જે કળા છે અને અવાજ છે, તેને ધ્યાનમાં રાખતા લોકો તેમની સાથે જોડાઇ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે મોદી સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓને વાચા આપે છે, જેને લોકો પસંદ કરે છે. એ જ કારણ છે કે આજે તેઓ દેશના લોકપ્રિય નેતા બની ગયા છે. તેમણે જણાવ્યું કે પ્રજાતંત્ર ભાષણોથી ચાલે છે બુલેટથી નથી ચાલતું.
મોદીના પીએમ બનવાની સંભાવનાઓ પર યાદવે જણાવ્યું કે જ્યારે કોઇ વ્યક્તિ લોકપ્રિય થઇ જાય તો તે પ્રધાનમંત્રી તો શું કંઇપણ બની શકે છે. મોદી કોઇપણ હાલતમાં મનમોહન સિંહ કરતા શાનદાર પ્રધાનમંત્રી સાબિત થશે. મનમોહન પ્રધાનમંત્રી તો છે, પરંતુ દેશના નેતા નથી. તેઓ કેવી રીતે 125 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે?