RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ - જોશમાં હોશ ન ગુમાવવુ, આપણુ કામ છે પુરુષાર્થ કરવાનુ, નારેબાજી નહિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બિહારમાં આંતરરાષ્ટ્રીય સંત સંમેલનમાં હાજરી આપી. જાણો અહીં તેમણે શું કહ્યુ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બિહારના બક્સર જિલ્લા અંતર્ગત અહિરૌલી ગામમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સંત સંમેલનમાં હાજરી આપી. જ્યાં મુખ્ય અતિથિ તરીકે તેમણે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યુ કે ભગવાન રામે સમાજના બધા વર્ગોને જોડવાનુ કામ કર્યુ છે. આપણે ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. સોમવારથી શરુ થયેલા આ નવ દિવસીય આ સંમેલનમાં દેશભરમાંથી આવેલા સંતો અને સ્વયંસેવકોએ ભાગ લીધો. ભાજપ શાસિત રાજ્યોના ઘણા રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને બે ઉપમુખ્યમંત્રીઓના ભાગ લેવાની આશા છે.
મોહન ભાગવતે કહ્યુ કે ધર્મનો વાસ્તવિક અર્થ છે સમાજ અને વિશ્વનુ કલ્યાણ. આના માટે આપણે શરીરને ઠીક રાખવાનુ છે અને મનને ઉદ્દાત. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કર્તવ્ય પથથી વિચલિત ના થવુ જોઈએ. કોઈના ડરથી નહિ પરંતુ ધર્મ માટે કામ કરવુ જોઈએ. ભાગવતે આહ્વાન કર્યુ કે સાચા હિંદુ બનો અને શ્રીરામનુ જાપ કરો. ભાગવતે કહ્યુ કે, 'લોકોએ ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના દ્વારા આપવામાં આવેલા મૂલ્યો પર આધારિત સમાજની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. ભગવાન રામે એવા સમાજ માટે માર્ગ મોકળો કર્યો જ્યાં દરેક વ્યક્તિ નિર્ભયતાથી જીવે. તેમણે જીવનભર સામાજિક સમરસતાના માર્ગને અનુસર્યો.'
આરએસએસ પ્રમુખે પોતાના સંબોધન દરમિયાન વધુમાં કહ્યુ કે, 'રામ મનોહર લોહિયાએ કહ્યુ હતુ કે ભગવાન રામે મનોહર કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશને એક કર્યો હતો. ભાગવતે કહ્યુ કે એ વાત સાચી છે કે ભગવાન રામે આખા દેશને એક કર્યો. આપણે બધા ભારતીયોએ ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને તેમના સામાજિક એકતાના વિચારને પ્રોત્સાહન આપવુ જોઈએ.' ભાગવતે કહ્યુ, 'ભગવાનની કોઈ કામના નથી હોતી તેમ છતાં તે લીલા બતાવે છે. આપણી મનોકામનાઓ પૂરી કરવા પૃથ્વી પર આવે છે. જ્યારે ભગવાન પુરુષાર્થ કરતા હોય ત્યારે આપણુ કામ પણ પુરુષાર્થ કરવાનુ છે.' ભાગવતે સંતોને નારા ના લગાવવાની સલાહ આપી અને જોશમાંમાં હોશ ન ગુમાવવાની પણ સલાહ આપી. તેમણે કહ્યુ કે સંતોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ તેના માટે પુરુષાર્થ કરવો પડશે.'