Caste based Reservation: આર્થિક આધારે અનામતના સવાલ પર હોબાળો કેમ?
ભારતીય રાજકારણમાં રાજનેતાઓ માટે જાતિગત અનામત હંમેશા સળગતો મુદ્દો રહ્યો છે. આઝાદીના 70-72 વર્ષે પણ કોઈ પણ રાજકીય પક્ષ માટે જાતિગત અનામત પર ચર્ચા એ આત્મઘાતી પગલું ગણાય છે.
ભારતીય રાજકારણમાં રાજનેતાઓ માટે જાતિગત અનામત હંમેશા સળગતો મુદ્દો રહ્યો છે. આઝાદીના 70-72 વર્ષે પણ કોઈ પણ રાજકીય પક્ષ માટે જાતિગત અનામત પર ચર્ચા એ આત્મઘાતી પગલું ગણાય છે. જાતિગત અનામત લાગુ થયા બાદ તેના લાભાર્થીઓના જીવન સ્તર અને સામાજિક સ્તરમાં સુધારો થયો છે, એ વાત સાચી છે. તેને કોઈ નકારી શકે નહીં.
પરંતુ વોટ બેન્કના રાજકારણનું ચક્કર એવું છે કે કોઈ પણ રાજકીય પક્ષ અનામત નામની બિલાડીના ગળામાં ઘંટ બાંધવા તૈયાર નથી થતો. એ જ કારણ છે કે જાતિગત અનામતને કારણે અનામતની મૂળ જરૂરિયાત સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કારણ કે ક્રિમી લેયર સુધીની અનામત વ્યવસ્થાને કારણે વાસ્તવિક લાભાર્થી તેનાથી વંચિત રહી ગયા છે.
મોહન ભાગવતે ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવતા કહ્યું
ઉલ્લેખનીય છે કે એક વાર આ મુદ્દો એટલા માટે ગરમાયો છે કારણ કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જે લોકો અનામતના પક્ષમાં છે અને જે વિરુદ્ધ છે, તેમના વચ્ચે વાતચીત થવી જોઈએ. અને આ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. આ પહેલા ભાગવતે 2015માં પણ બિહાર ચૂંટણી પહેલા અનામત નીતિની સમીક્ષા કરવાની વાત કરી હતી. જે બાદ વિવાદ સર્જાયો હતો. એટલે સુધી કે રાજકીય પંડિતોએ તેમના આ નિવેદનને ભાજપ માટે ઘાતક ગણાવ્યું હતું.
આ મુદ્દે મોહન ભાગવતનું કહેવું છે કે હાલ જાતિગત અનામત પર સારા વાતાવરણમાં વિચારવિમર્શ કરવો જોઈએ. સંઘ પ્રમુખે કહ્યું કે તેમણે અનામત અંગે પહેલા પણ વાત કરી હતી, ત્યારે હોબાળો થયો હતો અને આખી ચર્ચા મુળ મુદ્દાથી બદલાઈ ગઈ હતી. ભાગવતનું કહેવું છે કે જેઓ અનામતના પક્ષમાં છે તેમણે વિરોધ કરનાર લોકોના હિતને ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ.
વોટબેન્ક તૂટવાનો ડર
સામે જે લોકો તેમના વિરોધમાં છે, તેમણે પણ આવું જ કરવું જોઈએ. વાત સીધી છે, પરંતુ જાતિગત અનામત જેવા મુદ્દે મૌન બેસતા રાજનેતાઓને પોતાની વોટબેન્ક તૂટવાનો ડર છે, એટલે તેઓ તેને અડતા નથી. જ્યારે મુદ્દો એ છે કે અનામતનો લાભ કોને મળવો જોઈએ કોને નહીં?
એક રિપોર્ટ પ્રમાણે એકલા 25 ટકા પછાત જાતિઓ જ સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થામાં અનામત બેઠકોના હિસ્સાનો 97 ટકા લભ લે છે. એટલે કે મતલભ બાકીની 75 ટકા પછાત જાતિઓના લોકને અનામતનો 3 ટકા જ લાભ મળી રહ્યો છે. તો 10 ટકા પછાત જાતિઓ એવી છે, જેમના લોકોને કુલ અનામત બેઠકો અને નોકરીમાંથી 25 ટકા પર અધિકાર જમાવ્યો છે. જ્યારે 38 ટકા પછાત જાતિઓ એવી છે, જેમના બાળકો કુલ અનામત બેઠકમાંથી એક ચતુર્થાંશ પર કબજો જમાવીને બેઠા છે. એટલે કે 48 ટકા પછાત જાતિઓ કુલ અનામતનો 50 ટકા લાભ ઉઠાવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે એવી 1000 પછાત જાતિઓ છે, જેમના એક પણ બાળકને અનામતનો લાભ હજીય નથી મળ્યો.
કાયદાકીય રીતે તો અનામતનો લાભ
ઉલ્લેખનીય છે કે જાતિય અનામતની સચ્ચાઈની પોલ ખોલવા આ આંકડા પૂરતા છે. મોટો સવાલ એ છે કે શું અનામતનો લાભ લઈ રહેલી ગણતરીની જાતિ કે સમુદાય પોતાની જ જાતિના ગરીબોનો હક નથી છીનવી રહ્યા ? કારણ કે કાયદાકીય રીતે તો અનામતનો લાભ એ લોકોને મળવો જોઈએ જે આ માપદંડ કરતા નીચે છે. જેના આધારે બંધારણમાં અનામતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અફસોસ કે અનામત દ્વારા જીવન સ્તર અને સામાજિક સ્તર સુધર્યા છતાંય લાભાર્થીઓ કેટલીક પેઢી સુધી ક્રીમી લેયર અનામતનો લાભ લઈ રહ્યા છે.
એક ઉદાહરણ દ્વારા સમજીએ તો હાલના વર્ષોમાં દલિત અને ઓબીસી વર્ગના કેટલાક છોકરા છોકરીઓ IASની પરીક્ષામાં ટોપ આવ્યા છે. આ જોતા અનામતની વર્તમાન વ્યવસ્થાને નવેસરથી જોવાની જરૂર છે. કારણ કે કોઈ અનામતનો લાભાર્થી મંત્રી, IAS, IPS અથવા ઉચ્ચ અધિકારીઓના સંતાનોની હેસિયતનો હોય તો તે પછાત તો ન જ હોઈ શકે. તો પછી તેને અનામતનો લાભ આપવાનું લોજિક શું છે?
અનામત વ્યવસ્થામાં પરિવર્તનની જરૂર
સારો પગાર મેળવતા પછાત જાતિના યુવાનો ઓબીસી ક્વોટા હેઠળ અનામતનો લાભ લેવાના હકદાર નથી. કારણ કે સામાજિક અને શૈક્ષણિક બંને રીતે તે હાંસિયામાં ન હોઈ શકે. પરંતુ 10 હજારના પગારમાં ચોકીદારી કરતા, ચા પાનનો ધંધો કરતા, રેંકડી ચલાવતા સવર્ણ સમાજના બાળકોને હાલની મૂડીવાદી વ્યવસ્થામાં સાામાજિક કે આર્થિક રીતે સમૃદ્ધ ન કહી શકાય. તેની સામાજિક સ્થિતિ પણ ક્રિમીલેયર કેટેગરીમાં પ્રવેશ મેળવી ચૂકેલા તથાકથિત દલિતો અને પછાતો જેવી જ ગણાય.
હાલની સ્થિતિમાં કોઈ મોચી, ધોબી, ગોવાળ, રિક્ષા ડ્રાઈવર, સફાઈ કર્મચારી, વાસણ સાફ કરતા વ્યક્તિના બાળકોને IIT, IIM, AIIMS, IASમાં અનામતનો લાભ નથી મળી રહ્યો અને જો જરૂરિયાત મંદોને જ અનામતનો લાભ ન મળે તો હાલની અનામત વ્યવસ્થામાં પરિવર્તનની જરૂર છે અને જાતિ સમુદાયના બદલે આર્થિક અનામત પર વ્યાપક ચર્ચા જરૂરી છે.
આ પણ વાંચો: આ કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 3 વર્ષનો વધારો, લાખો લોકોને લાભ મળશે