વસ્તી અસંતુલન અને ધર્મ પરિવર્તન વિશે RSSએ આપ્યુ મોટુ નિવેદન, જાણો સંઘ મહાસચિવે શું કહ્યુ?
આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ વસ્તી અસંતુલન અને ધર્મ પરિવર્તન વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
પ્રયાગરાજમાં યમુનાપાર સ્થિત ગોહનિયા સ્થિત વાત્સલ્ય પરિસરમાં આયોજિત ચાર દિવસીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક ચાલી રહી છે. જેમાં આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ વસ્તી અસંતુલન અને ધર્મ પરિવર્તન વિશે મોટુ નિવેદન આપ્યુ છે. દત્તાત્રેય હોસાબલેએ કહ્યુ કે દેશમાં વસ્તી અસંતુલન મોટી સમસ્યા છે. ધર્મ પરિવર્તન અને બાંગ્લાદેશથી પલાયન વસ્તી અસંતુલનનુ કારણ બની રહ્યુ છે. તેમણે ધર્માંતરણ વિરોધી કાયદાને કડકાઈથી લાગુ કરવાનુ પણ આહ્વાન કર્યુ છે.
'ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક કાયદાઓ લાગુ કરવાની જરુર'
મીડિયા સાથે વાત કરતા દત્તાત્રેય હોસાબલેએ આરોપ લગાવ્યો કે દેશના ઘણા ભાગોમાં ધર્મ પરિવર્તનનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે. આ ષડયંત્ર ધીમે ધીમે સંગઠન બનાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે. સંઘનુ કામ તેની સામે લોકોમાં જાગૃતિ લાવવાનું છે. દત્તાત્રેય હોસાબલેએ કહ્યુ કે સંઘ 'ઘર વાપસી' જેવા શબ્દોનો ઉપયોગ કરે છે જેથી કરીને હિંદુ ધર્મને અનુસરનારા લોકો કે જેમણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કર્યુ છે તેઓ જાગૃત બને અને ફરી પાછા આવે. તેમણે કહ્યુ કે ધર્મ પરિવર્તનને રોકવા માટે વર્તમાન કાયદાઓને કડક રીતે લાગુ કરવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી શાસિત ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોએ કાયદાઓ લાવ્યા છે જે બળજબરી અથવા પ્રલોભન અથવા લગ્ન દ્વારા ધર્માંતરણને પ્રતિબંધિત કરે છે.
'બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરીના કારણે જનસંખ્યા અસંતુલન'
દત્તાત્રેય હોસાબલેએ બાંગ્લાદેશમાંથી થતી ઘૂસણખોરીને 'વસ્તી અસંતુલન'નું બીજુ સૌથી મોટુ કારણ ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ, 'બાંગ્લાદેશથી ઘૂસણખોરીને કારણે વસ્તીનુ અસંતુલન પૂર્ણિયા અને કટિહાર અને અન્ય રાજ્યો સહિત ઉત્તર બિહારના જિલ્લાઓમાં જોવા મળ્યુ છે. તેથી અમે સંકલ્પ કર્યો છે કે આ બાબતને સર્વગ્રાહી અને એકતાથી વિચારવાની જરૂર છે જેથી એકસમાન રાષ્ટ્રીય વસ્તી નીતિ ઘડી શકાય છે અને બધા પર લાગુ કરી શકાય છે.
'ધર્માંતરણના કારણે હિંદુઓની વસ્તી ઘટી રહી છે'
તમને જણાવી દઈએ કે હાલમાં આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના ઘણા નિવેદનોમાં ધર્માંતરણને કારણે હિંદુઓની વસ્તીમાં ઘટાડાની વાત કરી છે. યુપીના ગોહનિયામાં વાત્સલ્ય સંસ્થા કેમ્પસમાં આયોજિત ચાર દિવસીય વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરતા મોહન ભાગવતે કહ્યુ હતુ કે, 'ધર્માંતરને કારણે હિંદુઓની વસ્તી ઘટી રહી છે.' નાગપુરમાં વિજયાદશમીના અવસર પર પોતાના ભાષણમાં મોહન ભાગવતે વસ્તી અસંતુલન, સામાજિક સદભાવ અને માતૃભાષામાં શિક્ષણ વિશે પણ વાત કરી હતી.