રશિયા, ચીન, પાકિસ્તાન તાલિબાન તરફે, ભારતના વલણમાં બદલાવનો સંકેત
રશિયા, ચીન, પાકિસ્તાન તાલિબાન તરફે, ભારતના વલણમાં બદલાવનો સંકેત
તાલિબાનની મુખ્ય રાજકીય ઑફિસ કતરથી ભારત માટે મોકલવામાં આવેલ તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈના સંદેશ પર અફઘાનિસ્તાન મામલે નવી દિલ્હીનું વલણ બદલાય તેવો સંકેત જોવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત અફઘાનિસ્તાનમાં ફરીથી ઉદય પામેલી તાલિબાનની સત્તાના ઢાંચા પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ અખબારને કહ્યું કે તાલિબાનના ઉદયના લાંબા સમય અગાઉ ભારતે રશિયાને ચેતવ્યું હતું કે અફઘાનિસ્તાનને લઈને વલણ બદલવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે.
ચીન 28 જુલાઈએ પોતાનું રાજકીય સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું હતું. ચીનના વિદેશમંત્રી વાંગ લીએ તિયાનજિનમાં તાલિબાન નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, 'અફઘાન તાલિબાન એક મહત્ત્વની રાજકીય અને લશ્કરી શક્તિ છે અને દેશમાં શાંતિ અને પુનર્રુત્થાન માટે તેની મહત્ત્વની ભૂમિકાની આશા છે.'
કાબુલ પર તાલિબાનનું નિયંત્રણ સ્થાપિત થયું તેના ચાર જ દિવસ અગાઉ અફઘાનિસ્તાન મામલે રશિયા, ચીન, પાકિસ્તાન અને અમેરિકાના પ્રતિનિધિઓની કતરની રાજધાની દોહામાં બેઠક થઈ. ભારતને આ વાર્તામાં સ્થાન મળ્યું ન હતું.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ખાસ દૂત જામિર કાબુલોવે એ વખતે નિવેદન આપ્યું હતું કે ભારતનો તાલિબાન પર કોઈ પ્રભાવ નથી એટલે તે વાર્તામાં સામેલ ન થઈ શક્યું.
અધિકારીઓનું કહેવું છે અફઘાનિસ્તાનની બદલાયેલી સ્થિતિ ભારત માટે નવો પડકાર છે. આ નિર્ણયનો સમય છે અને અમેરિકા સાથેના સંબંધોનો વિચાર કર્યા વિના એ જોવું પડશે કે ભારતનો અફઘાનિસ્તાનમાં ફાયદો શું છે અને નુકસાન શું છે. ઉલ્લેખનીય છે કે તાલિબાનના ફરીથી ઉદયને લઈને જર્મન ચાન્સેલર એંગેલા મર્કલે કહ્યું હતું કે, આ કડવું સત્ય છે અને આપણે તેનો મુકાબલો કરવો પડશે.
- એ આખરી અમેરિકન સૈનિક જેણે મધરાતે અફઘાનિસ્તાન છોડ્યું, યુદ્ધ સમાપ્ત કે નવી શરૂઆત?
- અફઘાનિસ્તાનમાં તાલિબાનના 'ઇસ્લામિક રાજ'માં શું બદલાઈ જશે?
દિલ્હીની હૉસ્પિટલમાં વૅક્સિનના બન્ને ડોઝ લેનારા 25 ટકા સ્ટાફને કોરોના થયો
દિલ્હીની હૉસ્પિટલમાં વૅક્સિનનો બંને ડોઝ લેનારા સ્ટાફમાંથી 25 ટકા સ્ટાફને કોરોનાનો ચેપ લાગવાની ઘટના બની છે.
'ધ હિંદુ'ના અહેવા મુજબ કુલ 600 વ્યક્તિને ચેપ લાગ્યો છે. જોકે તેમાંથી કોઈને પણ હૉસ્પિટલ જવાની જરૂર નથી પડી.
ભારતમાં અગાઉ પણ આવા અભ્યાસોમાં રસીના બંને ડોઝ લેનારા આરોગ્યકર્મીઓને ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. પણ આ વખતે તેની ટકાવારીનું પ્રમાણ મોટું છે.
દિલ્હીમાં મૅક્સ હૉસ્પિટલમાં આરોગ્યકર્મીઓ પર આ અભ્યાસ કરાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ ઍન્ડ ઇન્ટેગ્રેટિવ બાયૉલૉજી (સીએસઆઈઆરઆઈજીઆઈબી)ના વૈજ્ઞાનિકો દ્વારા આ અભ્યાસ કરાયો હતો. તેનો પિયર-રિવ્યૂ થવાનો હજી બાકી છે.
આ લોકોમાં રસીના બંને ડોઝ વચ્ચેનો સમયગાળો અલગ છે, પરંતુ 482ને 42 દિવસમાં રસીનો બીજો ડોઝ મળ્યો હતો. તેમાંથી અર્ધાને પહેલાં કોરોના થઈ ચૂક્યો હતો.
- અફઘાન જેહાદીઓને અમેરિકાએ જ્યારે ડૉલર તથા હથિયાર આપ્યાં અને તાલિબાનનો ઉદય થયો
- ગુજરાતમાં કોરોનાકાળમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ભય, કઈ રીતે બચશો?
- ગુજરાતમાં ઓછા વરસાદને લીધે દુકાળનો ભય, ડૅમોમાં કેટલું પાણી બચ્યું છે?
અન્ના હજારેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, દારૂની દુકાનો ખૂલી શકે છે, તો મંદિર કેમ નહીં?
સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાજ્યમાં મંદિરોને ફરીથી ન ખોલવાના મહારાષ્ટ્ર સરકારના વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ, કે જો મંદિરો પરથી પ્રતિબંધ હઠાવવા માટે આંદોલન કરવામાં આવશે તો હુ સમર્થન કરીશ.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર હજારેએ ઠાકરે સરકારના મંદિરોને ફરીથી ન ખોલવાના નિર્ણય પર પ્રશ્ન કર્યો અને આ માટે તેમણે દારૂની દુકાનોની બહાર લાગેલી લાંબી લાઇન તરફ ઇશારો કરતા સરકાર પર કટાક્ષ પણ કર્યો.
અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં હજારેએ કહ્યુ હતું કે, "મંદિરોને ફરીથી ખોલવાની માગ કરનારા કેટલાક લોકોનાં એક પ્રતિનિધિમંડળ સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમણે કહ્યુ, રાજ્ય સરકાર મંદિર કેમ ખોલી રહી નથી? લોકો માટે મંદિર ખોલવામાં રાજ્ય સરકારને શું જોખમ છે? જો કોરોના કારણ છે તો પછી દારૂની દુકાનોની બહાર લાંબી લાઇન કેમ છે."
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારાને જોતા અમુક રાહતો આપી છે.
જોકે રાજ્ય સરકાર હજુ પણ કોરોના વાઇરસના પ્રસારના ડરથી અને ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાને લઈ ધાર્મિક સ્થળને ફરીથી ખોલવા અંગે ડરી રહી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ ભાજપે માગ કરી રહી છે કે લોકો માટે મંદિરો ફરીથી ખોલવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો