રશિયાએ S-400 મિસાઈલની ડિલિવરી શરૂ કરી, અમેરિકા-ભારત સબંધો પર શું પ્રભાવ પડશે?
વચન અને કરાર મુજબ મિત્ર રશિયાએ ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી શરૂ કરી દીધી છે. જે પછી સવાલો ઉઠી રહ્યા છે કે શું અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવશે?
નવી દિલ્હી, 14 નવેમ્બર : વચન અને કરાર મુજબ મિત્ર રશિયાએ ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી શરૂ કરી દીધી છે. જે પછી સવાલો ઉઠી રહ્યા છે કે શું અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવશે? રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકના અહેવાલ મુજબ રશિયાની આધુનિક S-400 મિસાઈલ સિસ્ટમનું પહેલુ કન્સાઈનમેન્ટ ભારત પહોંચી ગયુ છે અને રશિયાના સેન્ટ્રલ મિલિટરી ટેક્નોલોજી કોર્પોરેશનના ડાયરેક્ટર દિમિત્રી શુગેવે ભારતને મિસાઈલો પહોંચાડવાની પુષ્ટિ કરી છે.
S-400 મિસાઈલની ડિલિવરી શરૂ થઈ
સેન્ટ્રલ મિલિટરી ટેક્નોલોજી કોર્પોરેશનના ડિરેક્ટર દિમિત્રી શુગેવે ન્યૂઝ એજન્સી સ્પુટનિકને જણાવ્યું કે, ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમની સપ્લાય શરૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે બાકીની મિસાઈલ સિસ્ટમ પણ ભારતને પહોંચાડવામાં આવશે. ભારત પહેલા તુર્કી અને ચીને રશિયાની S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી લીધી છે અને S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાથી નારાજ અમેરિકાએ તુર્કી પર પણ પ્રતિબંધો લગાવી દીધા છે. આ સ્થિતિમાં અમેરિકાને પણ ભારત વિરુદ્ધ વાંધો છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, અમેરિકા આ ડીલ પર ઘણી વખત પ્રત્યક્ષ અને ઘણી વખત આડકતરી રીતે ટિપ્પણી કરી ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે, રશિયા અને ભારતે ઓક્ટોબર 2018માં મિસાઈલ સિસ્ટમની ડિલિવરી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને રશિયા વચ્ચે કરાર
ઓગસ્ટમાં રશિયાના રાજ્ય શસ્ત્ર નિકાસકાર રોસોબોરોન એક્સપોર્ટ્સના વડા એલેક્ઝાન્ડર મિખીવે સ્પુટનિક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ, એશિયા-પેસિફિક ક્ષેત્ર અને આફ્રિકાના સાત દેશો સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ માટે વાતચીત ચાલી રહી છે. બીજી તરફ ઓક્ટોબર 2018 માં S-400 મિસાઇલ સિસ્ટમ માટે ભારત અને રશિયા વચ્ચે $ 5.43 બિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હેઠળ રશિયા ભારતને પાંચ S-400 મિસાઇલ સિસ્ટમ્સ સોંપશે.
તુર્કી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
તમને જણાવી દઈએ કે, ભારત સાથે તુર્કી પણ રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી રહ્યું છે, પરંતુ અમેરિકાએ તુર્કીને કોઈ છૂટ આપી ન હતી અને ગયા વર્ષે અમેરિકાએ તુર્કી પર પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ તે જ મહિનામાં, અમેરિકાના બંને મુખ્ય પક્ષોના સેનેટરોએ રાષ્ટ્રપતિ જો બાઈડનને પત્ર લખીને ભારત માટે મુક્તિની માંગ કરી હતી. સેનેટર્સે બાઈડનને અપીલ કરતા કહ્યું કે, અમે અમેરિકાની ચિંતાઓને સમજીએ છીએ, પરંતુ જો ભારત પર પ્રતિબંધો લાદવામાં આવશે તો ભારત સાથેના સહયોગને નુકસાન થશે. તેઓએ લખ્યું કે, અમે જાણીએ છીએ કે CAATSA પ્રતિબંધો લાદવાથી ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારી પર હાનિકારક અસર પડી શકે છે, જ્યારે પ્રતિબંધો રશિયન શસ્ત્રોના વેચાણને અટકાવી શકશે નહીં.
ભારત-રશિયા લશ્કરી સંબંધો
તમને જણાવી દઈએ કે ભારત હંમેશા રશિયા પાસેથી હથિયારો ખરીદતું આવ્યું છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ભારતે રશિયા પાસેથી હથિયારોની ખરીદીમાં ભારે ઘટાડો કર્યો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અગાઉના પાંચ વર્ષના સમયગાળાની તુલનામાં 2016 થી 2020 સુધીમાં ભારતમાં રશિયન શસ્ત્રોની નિકાસમાં 53% ઘટાડો થયો છે. બીજી તરફ, 2020 નાણાકીય વર્ષમાં $3.4 બિલિયનના વેચાણ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભારતના સંરક્ષણ સોદા વધી રહ્યા છે. જેને સેનેટરોએ પોતાના પત્રમાં લખીને આને અમેરિકા માટે સકારાત્મક વાત કહી છે. તેમણે કહ્યું કે, આ સમયે પ્રતિબંધો લાદવાથી આપણા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓમાં ભારત સાથેનો ગાઢ સહકાર પાટા પરથી ઉતરી શકે છે. આ સહયોગ ભારત અને યુએસને કોરોના વાયરસની રસી, સંરક્ષણ ક્ષેત્ર, ઉર્જા ક્ષેત્ર અને ટેકનોલોજી ક્ષેત્રમાં મદદ કરશે.
યુએસ સેનેટરો મોદીને મળ્યા
રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી પહેલા અમેરિકી સાંસદો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સેનેટર જોન કોર્નિનના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે દક્ષિણ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન ભારત-યુએસ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે યુએસ કોંગ્રેસના સતત સમર્થનની પ્રશંસા કરે છે. સૌથી મોટો મુદ્દો એ છે કે મિસાઈલનો મુદ્દો કોઈ પણ યુએસ સેનેટરે ઉઠાવ્યો ન હતો.