નવી દિલ્હી, 4 એપ્રિલ : દિલ્હીની જામા મસ્જિદના ઇમામ સૈયદ બુખારીએ લોકસભા ચૂંટણી 2014માં તેમનું સમર્થન કોંગ્રેસ અને ટીએમસીને હોવાનું જાહેર કર્યું છે. આ સાથે તેમણે મુસ્લિમ કોમને પણ આ પક્ષોને સમર્થન આપવાની અપીલ કરી છે.
મુસ્લિમોને કરેલી અપીલમાં શાહી ઈમામે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તેણે આપેલા વચનોનું પાલન કરશે એવી મને આશા છે. ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટીને ટેકો આપવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે એમને ટેકો આપવો એટલે મત વેડફી નાખવા જેવી વાત છે.
બુખારીએ કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ મને વિશ્વાસ બેઠો છે કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોના હિતમાં કામ કરશે.
સપા અને બસપાથી નારાજ શાહી ઇમામે જણાવ્યું હતું કે યુપીમાં સપાની બેદરકારીથી 100 જેટલા રમખાણો થયા છે. સપાએ મુસ્લિમોને આપેલા વચન પુર્ણ કર્યા નથી. તેમણે બસપા અંગે પણ કહયું હતું કે આ પક્ષ ઉપર મને ભરોસો નથી.
શાહી ઇમામે જણાવ્યું કે ધર્મ નિરપેક્ષ મતો વહેંચાવા ન જોઇએ. તેમણે કહયું કે આ મતોના ભાગલા પાડવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. કોંગ્રેસને મત આપવા માટે હું અપીલ કરુ છું પરંતુ હું ફતવો બહાર પાડતો નથી.
તેમણે કહયુ હતુ કે કોંગ્રેસ સામે અમને કેટલીક ફરીયાદો છે કે પરંતુ તેનો મતલબ એ નથી કે અમે આ દેશને ભાગલાવાદી પરિબળોના હાથમાં સોંપી દઇએ.