સુનંદા પુષ્કર મોત મામલે નિર્દોષ જાહેર થયા બાદ શશિ થરુર બોલ્યા - આ બધુ કોઈ ખરાબ સપના જેવુ હતુ
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરને પત્ની સુનંદા પુષ્કર મોત મામલે દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે નિર્દોષ જાહેર કરી દીધા છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરને પત્ની સુનંદા પુષ્કર મોત મામલે દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે નિર્દોષ જાહેર કરી દીધા છે. 2014માં સુનંદાના મોત બાદ દિલ્લી પોલિસે થરુર પર સુનંદાનુ માનસિક ઉત્પીડન કરવા અને હત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં બધા આરોપોમાંથી મુક્ત થયા બાદ શશિ થરુરે ટ્વિટર પર પોતાનુ નિવેદન જાહેર કર્યુ છે. થરૂરે અદાલતનો આભાર માનીને આને સાત વર્ષ લાંબા દુઃસ્વપ્નમાંથી મુક્તિ કહ્યુ છે.
શશિ થરુરે શું કહ્યુ છે
કોર્ટના ચુકાદા પર શશિ થરુરે કહ્યુ કે હું આજના ચુકાદા માટે જજ ગીતાંજલિ ગોયલનો આભાર માનુ છુ. તેમણે મને આ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે જે દિલ્લી પોલિસે મારા સામે લગાવ્યા હતા. સાથે જ હું મારા વકીલ વિકાસ પહવા અને ગૌરવ ગુપ્તાનો પણ આભાર માનવા માંગુ છુ. મારા પર કેસ થયા બાદ મીડિયામાં પણ મને ખરુ-ખોટુ કહેવામાં આવ્યુ પરંતુ મને ન્યાયપાલિકા પર ભરોસો હતો અને છેવટે સત્યની જીત થઈ. આ આરોપોને લઈને હું સતત કહેતો રહ્યો હતો કે આ સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને આજે એ સાબિત થયુ. થરુરે કહ્યુ કે સુનંદાના મોત અને પછી ત્યારબાદ મારી સામે કેસ થવો ખરાબ સપના સમાન હતુ જે આજે વીતી ગયુ. હવે મને આશા છે કે હું અને મારો પરિવાર સુનંદાની યાદો સાથે શાંતિથી જીવન પસાર કરીશુ.
હોટલના રૂમમાં મૃત મળી હતી સુનંદા
શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014ની રાતે ચાણક્યપુરી સ્થિત લીલા પેલેસ હોટલના રૂમમાં મૃત મળી હતી. જે સમયે સુનંદા હોટલમાં મૃત મળી હતી એ વખતે થરુરના ઘરે રિનોવેશનનુ કામ ચાલી રહ્યુ હતુ જેના કારણે સુનંદા ઘર છોડીને હોટલમાં રહેવા આવી હતી. આ કેસમાં દિલ્લી પોલિસે આ મામલે કોંગ્રેસ નેતા શશિ થરુરની લાંબી પૂછપરછ કરી હતી અને તપાસના આધારે પોલિસે અદાલતને જણાવ્યુ હતુ કે પતિ થરુર સાથે પુષ્કરના સંબંધો ઠીક નહોતા માટે તે માનસિક રીતે પરેશાન હતી.
"...Significant conclusion to long nightmare which had enveloped me after tragic passing of Sunanda...Fact that justice has been done will allow all of us in the family to mourn Sunanda in peace," Shashi Tharoor after being discharged by Delhi Court in Sunanda Pushkar death case pic.twitter.com/30SRaM3iiO
— ANI (@ANI) August 18, 2021