શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે, સોનિયા ગાંધી તરફથી રસ્તો સાફ!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. આજે સોનિયા ગાંધીને મળ્યા બાદ શશિ થરૂરને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. આજે સોનિયા ગાંધીને મળ્યા બાદ શશિ થરૂરને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી મળી ગઈ છે. શશિ થરૂરે આજે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીમાં સુધારાની વકાલત કરતી એક પોસ્ટ કરી હતી, જેના પછી શશિ થરૂરે આજે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટ અનુસાર, સોનિયા ગાંધીએ શશિ થરૂરને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો શશિ થરૂર ઈચ્છે તો ચૂંટણી લડી શકે છે, જે કોઈ ચૂંટણી લડવા ઈચ્છે છે તે ચૂંટણી લડી શકે છે.
રિપોર્ટ અનુસાર, શશિ થરૂરને મળ્યા બાદ તરત જ સોનિયા ગાંધીએ તેમને લીલી ઝંડી આપી દીધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આગામી મહિને ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ પછી આ પદ માટે નોમિનેશન શરૂ થશે. 2019માં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. પરંતુ ભારત જોડો યાત્રામાં સામેલ કોંગ્રેસના ઘણા નેતાઓએ અપીલ કરી છે કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવી જોઈએ.
આ પહેલા શશિ થરૂરે સંકેત આપ્યા કે, તેઓ આવતા મહિને યોજાનારી ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. શશિ થરૂર કોંગ્રેસ પાર્ટીમાં પરિવર્તનની વાત કરનારા 28 નેતાઓના જૂથનો ભાગ છે. ગયા અઠવાડિયે તેઓ પાર્ટીમાં પારદર્શિતાની હિમાયત કરનારા નેતાઓમાં સામેલ હતા. તેમણે આ જૂથને પણ સમર્થન આપતા કહ્યું હતું કે ચૂંટણીમાં કોન મત આપશે તેની યાદી પણ જાહેર કરવી જોઈએ. નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં કપિલ સિબ્બલ, અમરિંદર સિંહ, જિતિન પ્રસાદ, ગુલામ નબી આઝાદ જેવા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે.