પટણા નકલી એનકાઉન્ટર કેસ : સ્ટેશન હાઉસ ઓફિસરને ફાંસી, 7ને ઉમરકૈદ
પટણા, 24 જૂન : બિહારની રાજધાની પટનાના બહુચર્ચિત નકલી એન્કાઉન્ટર કેસમાં અદાલતે આજે સજા જાહેર કરી છે. આ કેસમાં સીબીઆઇની ફાસ્ટટ્રેક કોર્ટે સમગ્ર પ્રકરણમાં દોષિત સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) એટલે કે થાનેદાર (સબ ઇન્સપેક્ટ ઓફ પોલીસ) શમ્સે આલમને ફાંસીની સજા ફરમાવી છે. જ્યારે આ કેસમાં અન્ય 7 દોષિતોને ઉંમર કૈદની સજા સંભળાવવામાં આવી છે.
નોંધનીય છે કે 28 ડિસેમ્બર, 2002માં બનેલી આ ઘટનામાં ત્રણ નિર્દોષ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આ વિદ્યાર્થીઓને માત્ર બે રૂપિયા માટે નકલી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. સીબીઆઇની ખાસ અદાલતે 5 જૂનના રોજ તેમણે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ઘટના ઘટ્યાના 12 વર્ષ પછી ચૂકાદો આપ્યો છે. મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોએ દોષિતોને ફાંસીથી પણ કડક સજા દેવાની માંગ કરી હતી.

આ નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિકાસ રંજનના માતા પિતાએ ન્યાય માટે ઘણો લાંબો ઇંતેજાર કરવો પડ્યો. 24 વર્ષનો વિકાસ મેઘાવી વિદ્યાર્થી હતો. તેની સાથે તેના માતા પિતાએ પણ અનેક સપના જોયા હતા. પટણા પોલીસે વર્ષ 2002માં વિકાસ રંજનની સાથે તેના બે મિત્રો હિમાંશું અને પ્રશાંતને નકલી એન્કાઉન્ટરમાં માર્યા હતા.
સમગ્ર મામલો એવો હતો કે આશિયાનગર વિસ્તારમાં એક પીસીઓ પર ત્રણે વિદ્યાર્થીઓએ ફોન કર્યા હતા. જો કે બિલ બે રૂપિયા વધારે આવતા ત્રણે મિત્રોએ દુકાનદારને તે બાબતની ફરિયાદ કરી. આ ફરિયાદ પર દુકાનદારે અન્ય લોકો સાથે મળીને ત્રણે મિત્રો અધમૂઆ થયા ત્યાં સુધી તેમને ઢોર માર માર્યો.
ત્યાર બાદ દુકાનદારે પોલીસને ફોન કર્યો. શાસ્ત્રીનગર પોલીસે આવીને વિદ્યાર્થીઓને નજીકથી ગોળી મારી અને તેમને ડાકૂ કહીને સમગ્ર ઘટનાને એન્કાઉન્ટરમાં ઠરાવી દીધી. આ કેસની ગંભીરતાને કારણે સમગ્ર પટણા ઉકળી રહ્યું હતું. અનેક દિવસો સુધી આંદોલન ચાલ્યું હતું. પોલીસે આંદોલન રોકવા અનેકવાર ગોળીબાર અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આ કેસને સીબીઆઇનો સોંપવાની માંગણી કરવામાં આવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ત્રણે વિદ્યાર્થીઓની યાદમાં શહીદ ચોક બનાવવાની જાહેરાત કરી હતી પણ તે બની ના શક્યો તેનો મૃતક વિદ્યાર્થીઓના માતા-પિતાને રંજ છે. આ કેસની ગંભીરતાને જોતા 14 ફેબ્રુઆરી 2003ના રોજ રાજ્ય સરકારે કેસ સીબીઆઇને સોંપ્યો હતો. 29 માર્ચ, 2003ના રોજ સીબીઆઇએ આરોપનામુ દાખલ કર્યું હતું. જેમાં શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન પ્રભારી શમ્સે આલમ અને સિપાહી અરુણ કુમારને દોષિત ગણવામાં આવ્યા જ્યારે બાકીના 6ને હત્યાના પ્રયાસના દોષિત ગણવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
