મોટો ખુલાસો, સિમીના આતંકીઓએ રચ્યું હતું મોદીને મારવાનું ષડયંતત્ર
રાયપુર, 21 નવેમ્બર: છત્તીસગઢ પોલીસે બુધવારે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે દેશના પ્રતિબંધિત સંગઠન સિમી અને આઇએમના પકડાયેલા સભ્યો ઉમેર સિદ્દીકી, અબ્દુલ વાહિદે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ કરતા બોધગયા વિસ્ફોટનું કાવતરુ, હૈદરાબાદ વિસ્ફોટને અંજામ આપનાર આરોપીઓને આશ્રય આપવા, અને નરેન્દ્ર મોદી પર હુમલાનું ષડયંત્ર રચવાની વાતનો સ્વીકાર કર્યો છે.
રાજધાની પોલીસે અત્યાર સુધી સિમી સાથે જોડ઼ાયેલ 8 કથિત આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે, અને અન્યોની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. છત્તીસગઢના ડીજીપી રામનિવાસે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આરોપીઓએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલાની સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી. મોદીની સભાના પૂર્વ આતંકીઓએ કાનપુર, દિલ્હી, તથા પ્રદેશના અંબિકાપુર જઇને રેકી કરી હતી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા કડક હોવાના કારણે તેઓ સફળ થઇ શક્યા નહીં.
તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામા આવેલા આતંકવાદીઓ સાથેની પૂછપરછમાં પણ એવું જાણવા મળ્યું છે કે ઉમેર સિદ્દીકી અને તેની સાથે જોડાયેલા સિમી સંગઠનના અન્ય લોકોએ અત્રે એક મોટી ઘટનાને અંજામ આપવા માટેનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ પોલીસના હાથે જડપાઇ જતા તેમની યોજના પર પાણી ફરી વળ્યું હતું.
ઉમેરનો સંપર્ક સિમીના મોટા પદાધિકારીઓ અને ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે હતો અને તેમનો નેક્સ્ટ ટાર્ગેટ નરેન્દ્ર મોદી હતા. તેઓ છત્તીસગઢ મોડ્યુલના રૂપમાં પોતાનું પૃથક સંગઠન ચલાવી રહ્યા હતા અને સિમીના કાર્યકર્તા તેને આમીર એટલે કે ચીફના રૂપમાં ઓળખતા હતા.