સોનિયા ગાંધી સામે ફરિયાદ નોંધવાની માંગ કોર્ટે ફગાવી, જાણો શું છે પુરો કેસ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે તેમની સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
આ અરજી તેમના ચૂંટણી કાર્ડમાં કથિત રીતે ખોટી માહિતી આપવા બદલ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે સોનિયા ગાંધી ભારતીય નાગરિક નહોતા ત્યારે પણ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

દિલ્હીના એક વકીલ વિકાસ ત્રિપાઠીએ કોર્ટમાં સોનિયા ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી. ત્રિપાઠીએ આરોપ લગાવ્યો હતો કે 1980માં તેમનું નામ નવી દિલ્હીની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જો કે તે સમયે તેઓ ભારતીય નાગરિક નહોતા.
જો કે, ગુરુવારે કોર્ટે આ મામલે સુનાવણી કરતા સોનિયા ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગને ફગાવી દીધી. આ નિર્ણયથી કોંગ્રેસને મોટી રાહત મળી છે.
વિકાસ ત્રિપાઠીના વકીલ પવન નારંગે કોર્ટમાં દલીલ કરી હતી કે દસ્તાવેજો દર્શાવે છે કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતીય નાગરિકતા લીધી હતી. નારંગે જણાવ્યું હતું કે તેમનું નામ 1980માં મતદાર યાદીમાં દાખલ કરાયું હતું પરંતુ 1982માં તેને હટાવી દેવાયું હતું. ત્યારબાદ 1983માં તે ફરીથી ઉમેરવામાં આવ્યું.
નારંગે સવાલ ઉઠાવ્યો કે 1982માં તેમનું નામ શા માટે હટાવવામાં આવ્યું હતું? આનો અર્થ એ છે કે ચૂંટણી પંચને કંઈક શંકાસ્પદ લાગ્યું હતું. તેમણે દલીલ કરી કે મતદાન માટે ભારતીય નાગરિક હોવું એ પ્રથમ શરત છે અને તે સાબિત કરતા દસ્તાવેજો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
કોર્ટે તમામ દલીલો અને પૂરાવાઓ પર ધ્યાન આપ્યા બાદ આ અરજીને નકારી કાઢી. જો કે, કોર્ટના નિર્ણયના સચોટ કારણો હજુ જાહેર થયા નથી, પરંતુ આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે કોર્ટને FIR દાખલ કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી. આ સમાચાર સોનિયા ગાંધી માટે રાહતના સમાચાર છે અને કોંગ્રેસ માટે પણ એક મોટી જીત છે.












Click it and Unblock the Notifications
