ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝ પર રોક નહીં લગાવે સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ દ્વારા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝ પર રોક લગાવવાની અરજી નકારી છે. પદ્માવતી ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફિકેટ બાદ જ કોઇ નિર્ણય થશે. આ અંગે વધુ વાંચો અહીં.
સુપ્રીમ કોર્ટ દ્વારા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી'ની રિલીઝ પર રોક લગાવવાની અરજી નકારી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ મામલે અમે હસ્તક્ષેપ ન કરી શકીએ. રિલીઝ પર રોક લગાવવાની અરજી નકારતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેન્સર બોર્ડે હજુ સુધી ફિલ્મ 'પદ્માવતી' માટે સર્ટિફિકેટ બહાર નથી પાડ્યું, આ એક સ્વતંત્ર બોડી છે અને આથી સુપ્રીમ કોર્ટ તેમના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ ન કરી શકે. 'પદ્માવતી' ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર છે. ઝુંઝનૂ, જયપુર, જોધપુર, મેવાડ, જયપુર સહિત રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે, ગુજરાતમાં પણ રાજપૂત સમાજે આ ફિલ્મ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાજસ્થાનના પાંચથી વધુ રાજઘરાના આ ફિલ્મની વિરુદ્ધ છે.
કરણી સેનાનો ઉગ્ર વિરોધ અને આરોપ
'પદ્માવતી' ફિલ્મના શૂટિંગ સમયથી આ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. જૂનમાં સંજય લીલા ભણસાલી જ્યારે રાજસ્થાનના નાહરગઢ સ્થિત એક કિલ્લામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. કરણી સેનાના કાર્યકર્તાઓએ તેમની સાથે ધક્કા-મુક્કી કરી હતી અને શૂટિંગ માટે મુકવામાં આવેલ સાધનો અને સ્પીકરની તોડફોડ કરી હતી. સેનાના એક સભ્યએ તો સંજય લીલા ભણસાલી પર હાથ પણ ઉગામ્યો હતો. કરણી સેનાના કાર્યકર્તાઓ અનુસાર, આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે અને રાણી પદ્માવતીની છબિ ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજીના સિન સામે તેમને આપત્તિ છે.
સંજય લીલા ભણસાલીની સ્પષ્ટતા
ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ બુધવારે રાત્રે જ આ અંગે એક સફાઇ આપતો એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે કોઇ એવો સિન કે ડ્રીમ સિક્વન્સ નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે આ ફિલ્મ પૂરી પ્રમાણિકતાથી બનાવી છે અને તેમાં રાજપૂત સમાજની માન-મર્યાદાનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અહીં જુઓ: Video: "'પદ્માવતી'માં રાજપૂતોની મર્યાદાનું પૂરુ ધ્યાન રખાયું છે"