ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલની નિયુક્તિ આટલી ઝડપથી કેમ થઈ? સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ
સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે 24 કલાકમાં તપાસ કેવી રીતે કરી લેવામાં આવી. આખરે આ નિમણૂક વીજળીની ઝડપે કેવી રીતે થઈ?
સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની નિયુક્તિ પર સુનાવણી કરી રહી છે. જેના પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આજે ગુરુવારે અટર્ની જનરલ(AG) આર વેંકટરમણીએ મુખ્ય ચૂંટણી કમિશ્નર અરુણ ગયોલની નિયુક્તિની ફાઈલ ખંડપીઠને સોંપી અને કહ્યુ કે હું કોર્ટને યાદ અપાવવા માંગુ છુ કે અમે આ મામલે મિની સુનાવણી નથી કરી રહ્યા. જેના પર જસ્ટીસ જોસેફે જવાબ આપ્યો કે અમે એ વાત સમજીએ છીએ.
ફાઇલ જોયા બાદ કોર્ટે પૂછ્યુ કે 24 કલાકમાં તપાસ કેવી રીતે કરી લેવામાં આવી. આખરે આ નિમણૂક વીજળીની ઝડપે કેવી રીતે થઈ? તેના પર એજીએ કહ્યુ કે અમે કોર્ટના તમામ સવાલોના જવાબ આપીશુ. અમને બોલવાની તક આપો. એજીએ કોર્ટને જણાવ્યુ કે કાયદો અને ન્યાય મંત્રાલય સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરે છે અને પછી સૌથી યોગ્ય ઉમેદવારની ચૂંટણી થાય છે. પછી તેમની નિમણૂક કરવામાં આવે છે. આમાં વડાપ્રધાનની પણ ભૂમિકા હોય છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ રસ્તોગીએ કહ્યુ કે કેટલીકવાર કામ ખૂબ જ ઝડપથી થઈ જાય છે પરંતુ સવાલ એ છે કે આ પદ 15 મેથી ખાલી હતુ તો જ્યારે આ મામલો વિચારાધીન છે તો નિમણૂક કરવાની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી? અમે કાયદા અને ન્યાય મંત્રાલયના આધારે પસંદગીની પદ્ધતિ જાણવા માંગીએ છીએ. અમે જાણવા માંગીએ છીએ કે શું આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે.
જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ સતત ત્રીજા દિવસે અરુણ ગોયલની નિમણૂક મુદ્દે સુનાવણી કરી રહી હતી. બુધવારે કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક માટેની પેનલમાં ન્યાયતંત્રમાંથી કોઈ વ્યક્તિની હાજરી માત્ર પારદર્શિતા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે તે ખોટી માન્યતા છે.