છૂટાછેડા વચ્ચે તેજપ્રતાપે નીતિશ સરકારની ચિંતા વધારી, કરી દીધી આ મોટી માંગ
તેજપ્રતાપ યાદવે બિહારની નીતિશ સરકાર પાસે એક માંગ કરી દીધી છે જેણે સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે.
પોતાની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદ વૃંદાવનમાં મંદિર-મંદિર ફરી રહેલા આરજેડી નેતા તેજપ્રતાપ યાદવ હજુ સુધી પોતાના ઘરે પાછા આવ્યા નથી. પરિવારની કોશિશ છે કે તેજપ્રતાપ ઘરે પાછા આવી જાય અને બધુ ભૂલીને ફરીથી પોતાની પત્ની સાથે રહે. વળી, તેજપ્રતાપ કોઈ પણ સ્થિતિમાં પોતાના પગલાં પાછા લેવા માંગતા નથી. શુક્રવારે કરાયેલા તેમના ટ્વીટ, 'ટૂટે સે ફિર જુટે, જૂટે ગાંઠ પરિ જાય' એ છૂટાછેડાની તેમની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી છે. આ દરમિયાન તેજપ્રતાપ યાદવે બિહારની નીતિશ સરકાર પાસે એક માંગ કરી દીધી છે જેણે સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે.
આ પણ વાંચોઃ અયોધ્યામાં 1992 જેવી સ્થિતિ, કિલ્લામાં ફેરવાઈ રામનગરી, હજારો શિવ સૈનિક પહોંચ્યા
તેજપ્રતાપને જોઈએ નવો બંગલો
તેજપ્રતાપ યાદવે બિહાર સરકાર પાસે પોતાના માટે એક નવા બંગલાની માંગ કરી છે. હાલમાં પટનાના દેશરત્ન માર્ગ પર બંગલા નંબર-3 તેજપ્રતાપ યાદવ માટે ફાળવેલ છે. આના બદલે બિહાર સરકારે તેમને પટનાના દરોગા રાય માર્ગ પર બે બંગલા આપ્યા જે તેજપ્રતાપને પસંદ આવ્યા નહિ. તેજપ્રતાપ યાદવ ઈચ્છે છે કે સરકાર તેમને કોઈ બીજી જગ્યાએ નવો બંગલો આપે. જેડીયુ નેતા અને બિહારના ભવન નિર્માણ મંત્રી મહેશ્વર હજારીને તેજપ્રતાપ યાદવના સચિવે ચિઠ્ઠી લખીને નવો બંગલો આપવા માટે આગ્રહ કર્યો છે.
તેજસ્વી પણ બંગલો ખાલી ન કરવાની જિદ પર અડ્યા
તમને જણાવી દઈએ કે બિહારના ભવન નિર્માણ મંત્રી મહેશ્વર હજારી પહેલા જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી ચૂક્યા છે. બિહાર સરકારે પટના જિલ્લા પ્રશાસનને પણ પત્ર લખીને બંગલો ખાલી કરાવવાના નિર્દેશ આપ્યા હતા. તેજસ્વી યાદવ પોતાનો સરકારી બંગલો ખાલી ન કરવા પર અડ્યા છે. સમગ્ર મામલે મહેશ્વર હજારીનું કહેવુ છે કે મહાગઠબંધનની સરકાર દરમિયાન આ બંગલો તેજસ્વી યાદવને ફાળવાયો હતો. હવે આ બંગલો વર્તમાન ડેપ્યુટી સીએમને ફાળવવાનો છે. કોર્ટે પણ તેમને બંગલો ખાલી કરાવવાના નિર્દેશ આપ્યા છે જો તેજસ્વી બંગલો ખાલી કરવાની ના પાડશે તો બળજબરીથી ખાલી કરાવવામાં આવશે.
‘ટૂટે સે ફિર જુટે, જૂટે ગાંઠ પરિ જાય'
ઉલ્લેખનીય છે કે લાલુ યાદવના પરિવારમાં પહેલેથી જ બધુ ઠીક નથી ચાલી રહ્યુ. તેજપ્રતાપ યાદવ પત્ની સાથે છૂટાછેડા મામલે કોઈનું સાંભળવા તૈયાર નથી. થોડા દિવસો પહેલા દિલ્લી પહોંચેલા તેજપ્રતાપે પરિવારને કહ્યુ પણ હતુ કે તે ઘરે ત્યારે જ પાછા આવશે જ્યારે તેમની છૂટાછેડાની વાત પર પરિવાર સંમત થશે. ગુરુવારે રાતે તેજપ્રતાપ યાદવે ટ્વિટ કરીને લખ્યુ, ‘ટૂટે સે ફિર જુટે, જૂટે ગાંઠ પરિ જાય'. આ ટ્વિટ જોઈને કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તેજપ્રતાપ યાદવ હાલમાં પોતાની પત્ની સાથે રહેવા માટે તૈયાર નથી અને છૂટાછેડાની વાત પર હજુ પણ અડેલા છે.
છેવટે ક્યાં છે તેજપ્રતાપ?
તેજપ્રતાપ યાદવના બિહાર પાછા ફરવા પર પણ શંકા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે તેજપ્રતાપ વૃંદાવનમાં રહીને ઘર અને પરિવારમાં સુખ-શાંતિ માટે એક વિશેષ પૂજા કરાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ હતુ કે આ પૂજા કારતક મહિનામાં ખતમ થશે અને આ પૂજા સમાપ્ત થયા બાદ તેજપ્રતાપ 23 નવેમ્બરે બિહાર પાછા જઈ શકે છે. બુધવારે તેજપ્રતાપે પોતાની મા રાબડી દેવીને ફોન પણ કર્યો હતો કે તે 23 નવેમ્બરે બિહાર પાછા ફરશે પરંતુ હજુ સુધી તેમના પાછા ફરવા અંગે કોઈ જાણકારી નથી.
તેજપ્રતાપને સમજાવી શકશે તેજૂ?
છૂટાછેડા મામલે તેજપ્રતાપ યાદવને સમજાવવાની જવાબદારી હાલમાં લાલુ પ્રસાદ યાદવના નાના જમાઈ તેજપ્રતાપ યાદવે સંભાળી છે. લાલુની નાની દીકરી રાજલક્ષ્મીના પતિ તેજપ્રતાપ પોતાના સાળા તેજપ્રતાપને સમજાવવાની સતત કોશિશ કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો તેજપ્રતાપના છૂટેછેડા મામલે સપા સાંસદ તેજપ્રતાપ યાદવ ઈચ્છે છે કે પતિ-પત્ની સાથે રહે અને તેના માટે તે છેલ્લા કેટલાક દિવસોથી ફોન દ્વારા તેજપ્રતાપના સંપર્કમાં છે. તેજપ્રતાપ યુપીની મેનપુરી લોકસભા સીટ પરથી સાંસદ છે અને સપાના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના પૌત્ર છે. મુલાયમે રાજીનામુ આપ્યા બાદ ખાલી થયેલી મેનપુરી સીટ પર થયેલ પેટા ચૂંટણીમાં તેજપ્રતાપે જીત મેળવી હતી.