કશ્મીરી પંડિતોની વાપસી માટે વાતાવરણ ઠીક નથી-ફારુક અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર દેશને ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવ્યો છે.
શ્રીનગર, 23 ઓક્ટોબર : નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ફારુક અબ્દુલ્લાએ ભાજપ પર દેશને ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવ્યો છે. ફારુક અબ્દુલ્લાએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે.
ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ફારુક અબ્દુલ્લાએ કાશ્મીરમાં તાજેતરના નાગરિકોની હત્યાઓ પર કહ્યું કે આ આતંકી હુમલાઓમાં માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમો પણ માર્યા ગયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કાશ્મીરી પંડિતોની વાપસી માટે ઘાટીમાં વાતાવરણ હજુ અનુકૂળ નથી.
ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી અહીં કલમ 370 પુનઃસ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ ન થઈ શકે. જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ -કાશ્મીર પહોંચ્યા છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ થયા બાદ અમિત શાહ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અબ્દુલ્લાએ કહ્યું કે, ખીણમાં તાજેતરની ઘટનાઓ એ લોકોની આંખ ખોલે છે કે જે કહેતા હતા કે કલમ 370 નાબૂદ કર્યા પછી આતંકવાદનો અંત આવશે. જ્યાં સુધી અહીં કલમ 370 બહાલ ન કરવામાં આવે ત્યાં સુધી તમે ઘાટીમાં શાંતિ લાવી શકશો નહી.
આ સાથે તેમણે ઘાટીમાં પથ્થરમારો કરવા બદલ 900થી વધુ લોકોની અટકાયતનો પણ વિરોધ કર્યો હતો. ફારુક અબ્દુલ્લાએ કેન્દ્રીય ગૃહમંત્રીને તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન મળવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે તેમનો સંપર્ક કર્યો છે અને અમિત શાહ મળવા માગે છે. પરંતુ તેમને મળવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે તેની રાજૌરી અને પુંછ જવાની યોજના પહેલેથી જ હતી.