નવા IT નિયમોને લઈને ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટની ફટકાર
સરકારની નવી ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફરીયાદોના નિવારણ માટે ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી આવશ્યક છે. ટ્વિટર દ્વારા નિમણૂક ન કરતા હવે દિલ્હી હાઈકોર્ટે ટ્વિટરને ફટકાર લગાવી છે.
ભારત સરકાર દ્વારા અમલમાં લાવમાં આવેલા નવા આઈટી નિયમોને લઈને સરકાર અને ટ્વિટર આમને સામને થઈ ગયા છે. એક તરફ કેન્દ્ર સરકાર નવા નિયમોના પાલન માટે દબાણ લાવી રહી છે તો બીજી તરફ ટ્વિટર મોડુ કરી રહ્યુ છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફરીયાદોના નિવારણ માટે ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી આવશ્યક છે. ટ્વિટર દ્વારા નિમણૂક ન કરતા હવે દિલ્હી હાઈકોર્ટે ટ્વિટરને ફટકાર લગાવી છે. કોર્ટે કડક રૂખ અપનાવી ટ્વિટરને જણાવ્યુ છે કે આ પ્રકારનું મોડુ ભારતમાં નહીં ચાલે, ટ્વિટરને એવુ લાગતુ હોય કે ભારતમાં તે ગમે તેટલો સમય લઈ શકે છે તો તેની પરમીશન કોર્ટ નહીં આપે. વધુમાં હાઈકોર્ટે કહ્યુ કે, ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક નહીં કરીને ટ્વિટર નવા આઈટી નિયમોનો ભંગ કરી રહ્યુ છે.
આ સૂનાવણી દરમિયાન ટ્વિટરે કોર્ટમાં એ પણ સ્વીકાર કર્યો કે તેને નવા આઈટી નિયમોનું પાલન નથી કર્યુ. જેને લઈને કોર્ટે કહ્યુ કે, કોર્ટ ટ્વિટરને સુરક્ષા ન આપી શકે. સરકાર તમારા વિરૂદ્ધ કાર્યવાહી કરવા સ્વતંત્ર છે. ઉલ્લેખનિય છે કે, ટ્વિટરે ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક નહીં કરતા અમિત આચાર્યએ ફરીયાદ કરી હતી. જેની સૂનાવણી દરમિયાન સરકારે ટ્વિટર નિયમોનું પાલન ન કરતું હોવાનું જણાવ્યુ હતુ, જેનો ટ્વિટર તરફથી હાજર રહેલા વકિલ સજ્જન પુવૈયાએ પણ સ્વીકાર કર્યો હતો.
કોર્ટમાં સરકારે જણાવ્યુ હતુ કે, 26 ફેબ્રુઆરીએ નવા નિયમોનું નોટીફિકેશન આવ્યા બાદ ભુલ સુધારવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ટ્વિટર દ્વારા કોઈ પગલા ન ભરતા સરકારે કાર્યવાહી શરૂ કરવી પડી. વધુમાં કોર્ટે કહ્યુ કે સરકાર કાર્યવાહી કરી શકે છે કોર્ટે સુરક્ષા ન આપી શકે. ટ્વિટરને એ ખબર હોવી જોઈએ કે તેમને કેવો વ્યવહાર કરવો જોઈએ.