Parliament Winter Session: લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક સપ્તાહ પહેલા અનિશ્ચિત કાળ માટે સ્થગિત
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શુક્રવારે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી છે.
Parliament Winter Session 2022 adjourned: સંસદના બંને ગૃહોની કાર્યવાહી નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ પહેલા શુક્રવારે સવારે સ્થગિત કરવામાં આવી છે. સંસદનુ શિયાળુ સત્ર આ વર્ષે 7 ડિસેમ્બરથી શરૂ થયુ હતુ અને તેને 23 ડિસેમ્બરે મુલતવી રાખવામાં આવ્યુ છે. આ વખતે શિયાળુ સત્રની તારીખ 29 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા 6 દિવસ પહેલા સ્થગિત કરવામાં આવી છે.
માહિતી મુજબ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સરકાર અને વિવિધ પક્ષોના પ્રતિનિધિઓનો હોય છે જ્યાં સત્રને ટૂંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શુક્રવારે સવારે સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભાએ શિયાળુ સત્ર દરમિયાન લગભગ 97% પ્રોડક્ટિવિટી દર્શાવી છે. જ્યારે તવાંગ મુદ્દે રાજ્યસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ હતી. અહેવાલો મુજબ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવા દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડે કોવિડ -19 સંક્રમણને રોકવા માટે સાવચેતીના પગલાના મહત્વ વિશે વાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે ગુરુવારે ધનખડ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા બધા માસ્ક પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા.
રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે પણ સંસદમાં મિલેટ્સ ફેસ્ટિવલના આયોજનમાં સહકાર આપવા બદલ સભ્યોનો આભાર માન્યો છે. આ વર્ષે સંસદના શિયાળુ સત્રમાં લોકસભાની 13 બેઠકો યોજાઈ હતી. આ દરમિયાન ગૃહની કાર્યવાહી 62 કલાક અને 42 મિનિટ સુધી ચાલી હતી. પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો સંસદના નીચલા ગૃહમાં આ સત્ર દરમિયાન તે 97% રહી છે. જે ખૂબ જ સારી ગણી શકાય.
સંસદનુ શિયાળુ સત્ર ગત 7 ડિસેમ્બરે જ શરૂ થયુ હતુ. આ સત્ર દરમિયાન અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની ઘૂસણખોરીનો મુદ્દો ખૂબ જ ગરમાયો હતો. આ મુદ્દે રાજ્યસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ સંસદમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિ બદલવાના ચીનના પ્રયાસ અંગે નિવેદન આપ્યુ હતુ. જો કે, ઉપલા ગૃહમાં વિપક્ષ તેના પર વિગતવાર ચર્ચા કરવા દેવા પર અડગ રહ્યો અને ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનુ ચાલુ રાખ્યુ. જો કે, મામલાની સંવેદનશીલતાને કારણે કેન્દ્ર સરકાર તેના પર ચર્ચા કરવા તૈયાર ન હતી. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા.
જો કે, સંસદ દ્વારા અમુક બિલ પણ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એમેન્ડમેન્ટ બિલ-2021, એનર્જી કન્ઝર્વેશન (એમેન્ડમેન્ટ) બિલ-2022 અને એન્ટી મેરીટાઇમ પ્રાઇવસી બિલ-2019નો સમાવેશ થાય છે. પરંતુ આ સત્ર પૂર્ણ થાય તે પહેલા જ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી બે દિવસ રજાઓ હતી. જો કે, એ નિશ્ચિત છે કે દેશમાં ફરી એકવાર કોવિડને લઈને ચિંતા વધી ગઈ છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે સત્ર મુલતવી રાખવા સાથે તેનો કોઈ સંબંધ છે કે નહિ.