ઘરે-ઘરે શૌચાલય હશે તો ઓછા થશે દુષ્કર્મ: જયરામ રમેશ

દિલ્હી ગેંગરેપ બાદ મહિલાઓની સુરક્ષાને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે રમેશે જણાવ્યું છે કે ગામડાઓમાં ઘર ઘરમાં જો શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થઇ જાય તો બળાત્કાર અને છેડછાડ જેવી ઘટનાઓને ટાળી શકાય.
ગ્રામીણ વિકાસ મંત્રીએ રાયપુરમાં શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે દેશમાં શૌચાલયની કમીના કારણે 60 ટકા મહિલાઓ ખુલામાં શૌચક્રીયા કરવા માટે મજબૂર છે, જે ખૂબ જ શરમજનક છે.
તેમણે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને શૌચાલય ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. જેના કારણે મહિલાઓમાં આત્મસન્માન, આત્મનિર્ભરતા અને સુરક્ષાનો ભાવ પેદા થશે.
જયરામ રમેશે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં લોકલાજના કારણે દુષ્કર્મની ઘટનાઓને દબાવી દેવામાં આવે છે. કેટલાક જ મામલાઓ સામે આવે છે. ઘરોમાં શૌચાલય હોવાથી મહિલાઓ બહારની અસુરક્ષાથી બચી શકશે. દુષ્કર્મની ઘણી ઘટનાઓ બહાર શૌચ કરવા જતી મહિલાઓ સાથે જ ઘટે છે.
ઉલ્લેખનીય છે કે રમેશે આ પહેલા પણ આવા નિવેદનો આપીને વિવાદ સર્જ્યો હતો. તેમણે પહેલા પણ જણાવ્યું હતું કે મંદિરો કરતા વધુ જરૂરી છે શૌચાલય. આની સાથે જ તેમણે યુવતીઓને એવું આહ્વાન કર્યું હતું કે તે એવા ઘરમાં જ લગ્ન કરે જ્યાં શૌચાલય હોય.












Click it and Unblock the Notifications
