જનતા એક્સપ્રેસ બની 'ડેથટ્રેન', 15ના મોત 150 ઘાયલ
લખનઉ, 20 માર્ચ: જનતા એક્સપ્રેસના 3 ડબ્બા રાયબરેલીની પાસે પાટા પરથી ખડી પડવાથી 15 લોકોના મોત થઇ ગયા છે. અને આ દૂર્ઘટનામાં લગભગ 150 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે મરનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. જ્યારે રેલવે રાજ્ય મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું કે તેઓ 2 વાગ્યે આ ઘટના સ્થળે પહોંચશે અને જાણકારી મેળવશે. એ પ્રમાણે તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે તેઓ અને સુરેશ પ્રભુ આ ઘટના પર નજર રાખશે, અને દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન કરશે.
આ દૂર્ઘટના રાયબરેલીમાં બછરાવા સ્ટેશનની પાસે થઇ છે. જનતા એક્સપ્રેસ(14266)ના 3 ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી જવાના કારણે આ દૂર્ઘટના સર્જાઇ છે. ઘાયલોને બછરાવાના પ્રાથમિક કેન્દ્રમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. જ્યારે રેલવેની એક્સીડેન્ટ રિલીફ ટ્રેનમાં પણ ડોક્ટર સામાન્ય રીતે ઘાયલોની સારવાર કરી રહ્યા છે. રેલવેની ટીમ ટ્રેકને સુધારવામાં લાગી છે.
અત્રે નોંધનીય છે કે ટ્રેન દેહરાદૂનથી વારાણસી જઇ રહી હતી. ઘટના બાદ રાહત માટે બચાવ દળ અને મેડિકલ ટીમને રવાના કરી દેવામાં આવી હતી. જ્યારે ઘટના પર રેલવેના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.