તુલસી પ્રજાપતિ કેસ : NCSCએ CBI - ગુજરાત સરકારને મોકલી નોટિસ
નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર : સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં વણઝારાએ લખેલા પત્રમાં ચોંકવનારા ઘટસ્ફોટ બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુશ્કેલીમાં વધુ એક મુસીબતનો ઉમેરો થયો છે. આજે તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ સંદર્ભે રાષ્ટ્રના અનુસૂચિત જાતિ પંચે (નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ કાસ્ટ) એનસીએસસીએ સીબીઆઈ અને ગુજરાત સરકારને કેસની તપાસ અંગે પત્ર લખી માહિતી આપવા જણાવ્યું છે.
પંચે સીબીઆઈને પત્ર લખીને જણાવ્યું છે કે હાલમાં ચાલી રહેલી કેસની તપાસ અવળા માર્ગે દોરાઈ રહી છે. વધુમાં પંચે આ મુદ્દે ગુજરાતના મુખ્ય સચિવ તેમજ રાજ્યના ડીજીપીને પણ નોટિસ મોકલી આપી છે. જેમાં કેસને લગતી તમામ વિગતો આપવાની માંગણી કરી છે.
આજે ગાંધીનગરમાં શિક્ષણ દિન નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન નહીં બનવાની ઈચ્છા વ્યક્ત કરી, પીછે હટ કરી છે, જે આગામી સમયમાં તેમની પર આવનારા જોખમની આશંકા તરીકે જોવાઈ રહી છે.