
ભાજપે રાજ્યસભાના નેતા બદલ્યા, થાવરચંદ ગેહલોતની જગ્યા લેશે આ નેતા
બીજેપીએ આગામી ચોમાસા સત્રમાં રાજ્યસભામાં પિયુષ ગોયલને સદનના નેતા બનાવ્યા છે. પિયુષ ગોયલને થાવરચંદ ગેહલોતની જગ્યાએ રાજ્યસભામાં ગૃહના નેતા બનાવશે. થાવરચંદ ગેહલોતે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા. આ સ્થિતિમાં રાજ્યસભામાં ગૃહના નેતાનું પદ ખાલી થયુ હતુ. હવે પિયુષ ગોયલ આ પદ સંભાળશે.
2014 માં કેન્દ્રમાં એનડીએ સરકારની રચના બાદ નેતા અરૂણ જેટલીએ રાજ્યસભામાં ગૃહના નેતાની જવાબદારી સંભાળી હતી. તેમના મૃત્યુ પછી, થાવરચંદ ગેહલોતને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા હતા. ગેહલોત રાજ્યપાલ બન્યા બાદ હવે ભાજપે પિયુષ ગોયલને રાજ્યસભાના નેતા બનાવ્યા છે.
થાવરચંદ ગેહલોત રાજ્યપાલ બન્યા પછી, રાજ્યસભામાં હવે ગૃહના નેતા કોણ હશે તે અંગે સતત ચર્ચાઓ ચાલી રહી હતી. નિર્મલા સીતારમણનું નામ પણ સામે આવ્યું. અન્ય ઘણા નેતાઓનાં નામોની પણ ચર્ચા થઈ પરંતુ આ જવાબદારી આખરે પિયુષ ગોયલને સોંપવામાં આવી છે. પિયુષ ગોયલ 2010 થી રાજ્યસભાના સભ્ય છે. પીયૂષ ગોયલ મોદી સરકારના વરિષ્ઠ પ્રધાનોમાંથી એક છે. તેમની પાસે હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઉપરાંત કાપડ મંત્રાલયનો હવાલો છે.
સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર તોફાની રહેવાની પુરી સંભાવના છે. કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો સંસદમાં ભાજપ અને મોદી સરકારને સંસદમાં ઘેરી શકે છે. કોરોના, ખેડુત આંદોલન, વધતી મોંઘવારી, દેશના ઘણા ભાગોમાં પૂર, નબળા અર્થતંત્ર જેવા મુદ્દાઓને લઈને સરકાર બેકફુટ પર છે.