હવે UPA સરકાર મોબાઇલ ફોન અને ટેબલેટનું મફત વિતરણ કરશે
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે તેમાં તડકો લગાવવા કેન્દ્રની યુપીએ સરકારે વધુ એક ખર્ચાળ યોજના ઘડી કાઢી છે. હવે યુપીએ પોતાની નવી યોજના હેઠળ ગરીબોને હાઇટેક સાધનોથી સજ્જ બનાવવાના વિચારી રહી છે. આ માટે તે ગરીબોને મફતમાં મોબાઇલ ફોન અને ટેબલેટ આપવાનું આયોજન તૈયાર કરી રહી છે.
આ યોજના અંતર્ગત ગરીબ લોકોને રૂપિયા 7860 કરોડના ખર્ચે અઢી કરોડ જેટલા મોબાઇલ અને 90 લાખ ટેબલેટનું વિતરણ કરાશે. વર્ષ 2014-15ના પ્રારંભમાં દેશમાં ડિજીટલ અસમાનતાને પૂરવાના નામે સરકાર મફતમાં ટેબલેટ અને મોબાઇલ ફોનનું વિતરણ કરશે.
સરકારની આ સંભવિત યોજના હેઠળ ગરીબોને મોબાઇલની સાથે સાથે બે વર્ષ માટે ફ્રી મોબાઇલ સબસ્ક્રીપ્શન પણ આપશે. એકવાર રૂપિયા 300 ભરનારને પ્રતિ માસ 30 મિનિટનો ટોકટાઇમ, 30 મેસેજ અને 30 એમબીનો ડેટા યુસેજ મળશે. જોકે આ યોજના માત્ર ગ્રામીણ વિસ્તારો માટે મર્યાદિત રહેશે.
આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગામીણ અને શહેરી વિસ્તારના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવશે. આ ટેબલેટ સાથે વિદ્યાર્થીઓને બે વર્ષ માટે ફ્રી ડેટા કાર્ડ કનેક્શન પણ મળશે. ટેલિકોમ કમિશને આ યોજના માટેનો પ્રસ્તાવ સરકારે દૂરસંચાર વિભાગને મોકલી આપ્યો છે. યોજનાને મંજૂરી મળ્યા તેને કેબિનેટની મંજૂરી માટે મોકલી અપાશે.
ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા અમલીકૃત થનાર આ પ્રોજેક્ટ અંતર્ગત 25 લાખ મોબાઇલ ફોન અને 15 લાખ ટેબલેટ આપવામાં આવશે. અંદાજે જેની કિંમત 395 કરોડ અને 772.5 કરોડ રહેશે.
યોજનાના બીજા વર્ષે 50 લાખ મોબાઇલ ફોન અને 35 લાખ ટેબલેટ આપવાની યોજના છે, જેમાં અંદાજે રૂપિયા 880 કરોડ અને રૂપિયા 1858.80 કરોડનો ખર્ચ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર અગાઉ જ વિદ્યાર્થીઓ માટે સસ્તા દરે ટેબલેટ આકાશ આપવાની યોજના અમલમાં મૂકી ચૂકી છે.