વિહિપે લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર આંદોલન રોકવાનું કર્યુ એલાન
વિહિપે રામ મંદિર આંદોલનને આગામી ચાર મહિના સુધી રોકવાનો નિર્ણય કર્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા જે રીતે વિશ્વ હિંદુ પરિષદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગ માટે ધર્મ સભાઓ કરી રહ્યુ હતુ તેનાથી માનવામાં આવી રહ્યુ હતુ કે તેનાથી મોદી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. પરંતુ હવે વિહિપે રામ મંદિર આંદોલનને આગામી ચાર મહિના સુધી રોકવાનો નિર્ણય કર્યો છે. વિહિપ તરફથી કહેવામાં આવ્યુ છે કે તે આગામી ચાર મહિના સુધી લોકસભા ચૂંટણી થવા સુધી રામ જન્મભૂમ આંદોલન રોકી રહ્યુ છે. વિહિપે રામ મંદિર નિર્માણની માંગ માટે દેશભરમાં ઘણી ધર્મસભાઓ અને ધર્મ સંસદનું આયોજન કર્યુ હતુ.
વિહિપ તરફથી આ ચોંકાવનારો નિર્ણય એ સમયે લેવામાં આવ્યો છે જ્યારે મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં વિવાદિત સ્થળ પાસે 67 એકર જમીન પાછી આપવાની વાત કહી છે. સરકારના આ પગલા બાદ મંગળવારે વિહિપ તરફથી પ્રયાગરાજમાં આયોજિત ધર્મ સંસદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર અભિયાનને રોકવામાં આવી રહ્યુ છે. વિહિપના અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યુ કે આગામી ચાર મહિના સુધી અમે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન નહિ કરીએ. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણકે ચૂંટણી સમયે આ પ્રકારનું આંદોલન નાનો મુદ્દો બની જાય છે અને આમાં રાજનીતિનો ઉપયોગ કરવામાં આવે છે. અમારુ માનવુ છે કે આ મુદ્દાને રાજકારણથી દૂર રાખવામાં આવે.
વળી જ્યારે વિહિપને પૂછવામાં આવ્યુ કે જો સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી કરે તો વિહિપનું શું વલણ રહેશે તેના પર કુમારે કહ્યુ કે કોર્ટનો ચુકાદો ભલે ગમે તે હોય અમારી માંગ સ્પષ્ટ છે. જો કોઈ ઈમરજન્સી સ્થિતિ આવશે તો અમે સંતો સાથે આ અંગે વાત કરી મંતવ્ય લઈશુ. જો કોર્ટ કાર્યમાં વિલંબ થશે તો પણ વિહિપ નિર્ણય નહિ બદલે.
આ પણ વાંચોઃ કોંગ્રેસમાં શામેલ થઈ બિગ બોસ વિનર શિલ્પા શિંદે, 'પાર્ટી કહેશે તો લડીશ ચૂંટણી'