લખનૌ, 15 એપ્રિલ : લખનઉ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસ્ંિહે સોમવારના મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે મુલાકાત કરીને તેમનું સમર્થન માંગ્યુ. આ મુલાકાતમાં રાજનાથ સાથે ભાજપના નેતા અને લખનઉનાં વર્તમાન સાંસદ લાલજી ટંડન પણ હાજર રહ્યા હતા.
રાજનાથ સૌથી પહેલા શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદને તેમના નિવાસસ્થાને મળવા ગયા ત્યારબાદ તેઓ સુન્ની ધર્મગુરૂ અને ઇદગાહના ઇમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીને પણ મળ્યા અને તેમનું સમર્થન માંગ્યુ.
બંને મુસ્લિમ ધર્મગુરૂઓએ રાજનાથસિંહને સ્પષ્ટ રીતે સમર્થન નથી આપ્યુ પણ તેમણે એટલુ જરૂર કહ્યુ કે રાજનાથની વાતને સમુદાય સમક્ષ રજુ કરશે. શિયા ધર્મગુરૂ કલ્બે જવાદે કહ્યુ કે રાજનાથસિંહે અમને સહયોગ આપવાની અપીલ કરી છે પણ અમે બુખારીની જેમ અમારા વિચાર કોઇ ઉપર થોપીશું નહીં અને કોઇ ફતવો જાહેર નહીં કરીએ.
કલ્બા જવ્વાદે હાલના સમુદાય વિરોધી માહોલ વિશે રાજનાથ સાથે વાતચીત કરી હતી અને ભાજપ અધ્યક્ષે તેમની સમસ્યાઓ દુર કરવાનું વચન આપ્યું હોવાનું જણાવ્યું હતું. સુન્ની ધર્મગુરૂ ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ પણ આ મુલાકાતને વ્યકિતગત ગણાવી છે.
રાજનાથસિંહે ચોખવટ કરતા જણાવ્યું કે તેઓ આ ધર્મગુરૂઓને બહુ આદર કરે છે અને નિષ્ઠા પ્રગટ કરવા તેમને મળવા ગયા હતા પણ શિયા ધર્મગુરૂએ કહ્યુ કે રાજનાથસિંહ ચૂંટણીમાં અમારૂ સમર્થન માંગવા આવ્યા હતા.
રાજનાથ સાથેની મુલાકાત બાદ કાબ્લે જવ્વાદે રાજનાથ સિંહની તુલના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે કરી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદીથી તેમને ડર લાગે છે. રાજનાથ પૂર્વ વડાપ્રધાન વાજપેયી જેવા સ્વીકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી સાથે મુલાકાત યોજી હતી.