Coldwave in North India: ઉત્તર ભારત શીત લહેરની ચપેટમાં, ધૂમ્મસથી અકસ્માતમાં 3ના મોત, 40 ઘાયલ
સમગ્ર ઉત્તર ભારત હાલમાં શીત લહેરની ચપેટમાં આવી ગયુ છે. ગાઢ ધૂમ્મસના કારણે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે.
Coldwave in North India: હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં ગાઢ ધૂમ્મસના કારણે થયેલા અકસ્માતોમાં ત્રણ લોકો માર્યા છે અને 40 જેટલા લોકો ઘાયલ થયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્લીમાં ગાઢ ધૂમ્મસના કારણે પારો ઘણો નીચે આવી ગયો છે.
ધૂમ્મસના કારણે વાહનવ્યવહાર પર અસર
ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને હવે તે માત્ર 50 મીટર સુધી જ રહી ગઈ છે. ધૂમ્મની કારણે ઘણા શહેરોમાં રાતના સમયે બસનુ સંચાલન રોકી દેવામાં આવ્યુ છે, ગાડીની ગતિ ઘટાડી દેવામાં આવી છે, સ્કૂલોના સમય બદલી દેવામાં આવ્યા છે. ધૂમ્મસના કારણે ઘણા વિમાનોના સંચાલનને પણ અસર થઈ છે. દિલ્લીથી લખનઉ, ચંદીગઢની ફ્લાઈટના સંચાલનને રોકવુ પડ્યુ.
હજુ પારો ગગડવાની સંભાવના
મંગળવારે ધૂમ્મસના કારણે 11 ટ્રેનો લગભગ 5 કલાક મોડી પડી હતી. ગાઢ ધુમ્મસને કારણે પાલમ અને સફદરજંગ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી છે. મંગળવારે દિલ્લીમાં પારો 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછો છે અને મહત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ. આગામી દિવસોમાં દિલ્લીમાં તાપમાનનો પારો વધુ 5 ડિગ્રી ગગડવાની શક્યતા છે.
ધૂમ્મસના કારણે વધ્યા અકસ્માત
પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ખૂબ ગાઢ ધુમ્મસ સેટેલાઈટ ઈમેજથી જોઈ શકાય છે. ઉત્તર પ્રદેશમાં મંગળવારે સાંજે ગાઢ ધૂમ્મસને કારણે રાત્રિ બસોનુ સંચાલન બંધ કરી દેવામાં આવ્યુ હતુ. ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર રોડ અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત થયુ છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. ધૂમ્મસના કારણે બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. દાદરીમાં આવો જ એક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ધૂમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર મહત્તમ સ્પીડ 75 કિમી પ્રતિ કલાક કરી દેવામાં આવી છે.
અલગ-અલગ અકસ્માતોમાં 40 લોકો ઘાયલ
બુલંદશહેર-અલીગઢ રોડ પર અરનિયા પાસે અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તો પૈકી બેની સારવાર ચાલી રહી છે, જ્યારે કેટલાકને સામાન્ય ઈજાઓ છે. બુલંદશહેરમાં એક ટ્રક ડ્રાઈવરનુ મોત થયુ હતુ. કોશામ્બીમાં બે બાઇક સવારો એક ટ્રક સાથે અથડાયા હતા. આ અકસ્માત મંગળવારે સવારે પ્રયાગરાજ-કાનપુર હાઈવે પર થયો હતો. પોલીસે જણાવ્યુ કે ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે આ અકસ્માત થયો હતો. સીતાપુરમાં એક માર્ગ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. અહીં એક વાન અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યુ કે ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.