નવજોત સિંહ સિદ્ધુ બાદ પંજાબના નવા કોંગ્રેસ અધ્યક્ષ કોણ?
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત કટોકટીની સ્થિતી સર્જાઈ છે. 23 જુલાઈએ પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનનાર નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ચંદીગઢ, 29 સપ્ટેમ્બર : પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત કટોકટીની સ્થિતી સર્જાઈ છે. 23 જુલાઈએ પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનનાર નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબમાં નેતૃત્વ પરિવર્તન બાદ સિદ્ધુ કેટલાક નિર્ણયોથી નારાજ હતા, જેના કારણે તેમણે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ સુત્રો તરફથી સમાચાર છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ હવે નવજોત સિંહ સિદ્ધુને વધુ માન આપવાના મૂડમાં નથી અને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષની શોધ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે પંજાબના આગામી પ્રદેશ અધ્યક્ષ કોણ બની શખે છે.
કોંગ્રેસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પક્ષના ટોચના નેતૃત્વએ નવજોત સિંહ સિદ્ધુ વિવાદને અહીં જ પુરો કરી આગળ વધવાનો નિર્ણય કર્યો છે. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, જનરલ સેક્રેટરી-ઇન્ચાર્જ હરીશ રાવત પંજાબ કોંગ્રેસના નવા વિવાદને ઉકેલવા માટે ચંદીગઢ જશે, પરંતુ હવે અહેવાલ છે કે તેમની મુલાકાત રદ કરવામાં આવી છે. આ સ્થિતિમાં કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ અંગે હલચલ તેજ થઈ છે અને પક્ષના બે દિગ્ગજ નેતાઓ કુલજીત સિંહ નાગરા અને રવનીત સિંહ બિટ્ટુના નામ રેસમાં આગળ ચાલી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ સતત મામલો પેચીદો થઈ રહ્યો છે. અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી ઉતારી મુખ્યમંત્રી બનવાના સપના જોતા સિદ્ધુને ચરણસિંહ ચન્ની મુખ્યમંત્રી બનતા પોતે સાઈડલાઈન થઈ રહ્યાં હોવાનો અહેસાસ થયો હતો. જે બાદ તેને પોતાના પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતું. હવે એક તરફ અમરિંદર સિંહ ભાજપ સાથે વાતચીત કરી રહ્યાં હોવાના સમાચાર છે ત્યારે બીજી તરફ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદનો વિવાદ ઘેરાઈ રહ્યો છે.