મંદિરની સંપત્તિ પર કોનો અધિકાર, ભગવાનનો કે પૂજારીનો? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિર કેસમાં સુનાવણી કરીને સોમવારે મોટો ચુકાદો સંભળાવ્યો.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિર કેસમાં સુનાવણી કરીને સોમવારે મોટો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કોઈ પણ મંદિરના નામની સંપત્તિ પર માલિકી હક મંદિરના દેવતાનો હોય છે, ત્યાંના પૂજારીનો નહિ. પૂજારી અને મેનેજમેન્ટ સમિતિ માત્ર પૂજા કરવા અને દેવતાની સંપત્તિઓની જાળવણી માટે છે. કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ જસ્ટીસ બોપન્નાએ પોતાના ચુકાદામાં અયોધ્યા વિવાદને લઈને સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો.
આ સાથે સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ સરકારના સર્ક્યુલરને યથાવત રાખીને મંદિરની સંપત્તિઓ સંબંધિત રાજસ્વ રેકૉર્ડથી પૂજારીના નામને હટાવવાનો પણ આદેશ આપ્યો છે. જસ્ટીસ હેમંત ગુપ્તા અને જસ્ટીસ એએસ બોપન્નાની પીઠે પોતાના ચુકાદામાં કહ્યુ કે ભૂ રાજસ્વના રેકૉર્ડમાંથી પૂજારીઓના નામ હટાવવામાં આવે, તે મંદિરની સંપત્તિના માત્ર રક્ષક છે. પૂજારી મંદિરમાં ભાડુઆત જેવા હોય છે, તે મંદિરના મુખ્ય દેવતા અને અન્ય દેવતાઓની સેવા-પૂજા સાથે-સાથે મંદિર સાથે જોડાયેલી જમીન પર ખેતીનુ પણ કામ સંભાળશે પરંતુ તેના માલિક ગણવામાં આવશે નહિ.