લોકપાલ બિલ રાજ્ય સભામાં પાસઃ વાંચો, કોણે શું કહ્યું
નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર સામેના લોકપાલ બિલને આજે રાજ્યસભામાં મતદાન કરીને પાસ કરવામાં આવ્યું છે. જો કે આ તકે સમાજવાદી પાર્ટી તેનાથી દૂર રહ્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં આ બિલ પાસ થઇ ગયા બાદ અણ્ણા હજારેના ગામ રાલેગણ સિદ્ધિમાં જાણે કે ઉત્સવનો માહોલ સર્જાયો હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આ બિલ પાસ થઇ ગયા બાદ વડા પ્રધાને આ પગલાને ક ઐતિહાસિક અને સીમાચિહ્ન રૂપ ગણાવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અણ્ણા હજારે દ્વારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદાને લઇને જન લોકપાલ બિલની માગ કરી હતી. જેને લઇને દેશમાં એક ક્રાન્તિકારી માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે અણ્ણા દ્વારા અનશન કરવામાં આવ્યા હતા. થોડાક સમય માટે આ લડાઇ સમી ગયા બાદ અણ્ણાએ ફરી લોકપાલ બિલની માગ સાથે રાલેગણ સિદ્ધિમાં અનશન શરૂ કર્યા હતા. ત્યારે આ વખતે સરકારે અણ્ણાના લોકપાલ બિલને મળતું આવતુ બિલ પાસ કરવાની ખાતરી દર્શાવી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ બિલ પાસ થવા અંગે કોણે શું કહ્યું છે.
વડા પ્રધાન મનમોહન સિંહ
આ અંગે વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે, લોકપાલ અને લોકાયુક્ત બિલ એ એક ઐતિહાસિક અને સીમાચિહ્ન પગલું છે. આ બિલ પાસ કરવા માટે સમર્થન આપનારા તમામ નેતાઓનો આભાર માનું છું.
કમલનાથ(સંસદીય બાબતોના મંત્રી)
તેમણે કહ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે. ઘણી મહેનત બાદ આ બિલ પાસ થયું છે. તમામ પાર્ટીઓનો આભાર માનુ છુ. મને આશા છેકે લોકસભામાં પણ આ બિલ સર્વાનુમતે પાસ થઇ જશે. આ બિલની પ્રતિક્ષા દેશ છેલ્લા 46 વર્ષોથી કરી રહ્યો હતો.
કપિલ સિબ્બલ(કાયદા મંત્રી)
તેમણે કહ્યું કે, અમે નિર્ણય કર્યો હતો કે આ સત્રમાં બિલ પાસ કરીશું. રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ કરી હતી. અમે ઇચ્છતા હતા કે સર્વાનુમતે આ બિલ પાસ થઇ જાય. અમે દરેક શંકાનું સ્પષ્ટીકરણ આપ્યું. આ બધાન યોગદાનથી સંભવ થયું છે.
અણ્ણા હજારે(સામાજિક કાર્યકર)
તેમણે કહ્યું કે, કહ્યું કે, રાજ્યસભામાં આ બિલ પાસ કરવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે લોકસભામાં પણ આ બિલ પાસ થઇ જશે. આ બિલ આવવાથી દેશમાંથી 50 ટકા ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. તેમણે કહ્યું કે કાલે લોકસભામાં આ બિલ પાસ થઇ જશે ત્યારે તેઓ પોતાના અનશન ખતમ કરી દેશે.
બલબીર પુંજ(ભાજપ)
ભાજપના બલબીર પુંજે કહ્યું કે આ ખુશીની વાત છે કે રાજ્યસભામાં લોકપાલ બીલ પાસ થઇ ગયું છે. હવે ટૂંક સમયમાં જ તેને લોકસભામાં પણ પાસ કરી દેવામાં આવશે.
જનાર્દન દ્વિવેદી(કોંગ્રેસ મહા સચિવ)
તેમણે કહ્યું કે, આજે સદનમાં વાતાવરણ સ્વાગતયોગ્ય હતું. લોકપાલ પર જે રીતે સહમતિ બની તે ઘણી જ સારી છે.
અરૂણ જેટલી(ભાજપ)
તેમણે કહ્યું કે, પાર્ટી તરફથી સુચવવામાં આવેલા તમામ સંશોધનોને બિલમાં સામેલ કરવામાં આવ્યા છે. જેટલીએ મે મુખ્ય વિરોધ વ્યક્ત કર્યા, તેમણે કહ્યું કે, લોકપાલ બિલમાં આરોપી પર રેડ પહેલા નોટીસનું પ્રાવધાન હટાવવામાં આવે અને લોકપાલ બિલમાં ધાર્મિક આધારે આરક્ષણનું પ્રાવધાન હટાવવામા આવે.
સીતારામ યેચુરી(સીપીએમ)
તેમણે લોકપાલ બિલનું સ્વાગત કરતા કહ્યું કે, આ બિલ ત્યારે જ સંભવ થયુ, જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં આંખો-આંખોમા ઇશારા થઇ ગયા. તેમણે બિલમાં કેટલાક વિરોધ જણાવ્યા. તેમણે કહ્યું કે, સીબીઆઇ હવે લોકપાલને આધીન છે, પરંતુ આ પ્રાવધાનમાં સુધારો કરવાની જરૂર છે. યેચુરીએ માંગ કરી છે કે સરકારી પૂંજીનો ઉપયોગ કરનારી ખાનગી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારની તપાસ પણ લોકપાલને આધીન આવે.
સતીશ મિશ્ર(બસપા)
બસપા તરફથી સતીશ મિશ્રએ લોકપાલ બિલનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી તરફથી આપવામાં આવેલા સંશોધનોને બિલમાં સામેલ કરવામાં આવ્યા છે.