સ્મૃતિ ઇરાની શા માટે અત્યારથી વિજેતા છે...
નવી દિલ્હી, 4 એપ્રિલ : આ વખતે લોકસભા ચૂંટણી 2014માં સૌની નજર ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર ટીકેલી છે. કારણ કે અહીંથી ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. જો કે ઉત્તર પ્રદેશની એક અન્ય બેઠક પરનો મુકાબલો પણ એટલો જ રોમાંચકારી બની રહેશે. આ બેઠક છે અમેઠી. અમેઠી ઉત્તર પ્રદેશની એવી લોકસભા બેઠક છે જ્યાં છેલ્લા ઘણા દાયકાથી કોંગ્રેસનો દબદબો છે અને અહીંથી લડતા ગાંધી પરિવારના સભ્યને હરાવવા મુશ્કેલ નહીં પણ અશક્ય લાગે છે.
ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરનું ચૂંટણી યુદ્ધ જોવા લાયક રહેશે કારણ કે અહીંથી ભાજપના સ્મૃતિ ઇરાની, કોંગ્રેસના રાહુલ ગાંધી અને 'આપ'ના કુમાર વિશ્વાસની તાકાત દાવ પર લાગી છે.
આ બેઠક પર રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાનીને લડાવીને ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે કોંગ્રેસના દિગ્ગજ નેતા સામે એટલા જ પાવરફૂલ ઉમેદવાર મુકશે. આ બેઠક પરથી રાહુલ જીતતા આવ્યા છે. આ વર્ષે પણ કોંગ્રેસે યુવરાજ રાહુલની જીત માટે આકરી મહેનત કરી છે. કોંગ્રેસે રાહુલ ગાંધી માટે ભલે કોઇ કસર બાકી રાખી ના હોય પણ એ વાત ચોક્કસ છે કે આ વખતે રાહુલ ગાંધી માટે અમેઠી બેઠકથી જીતવું અઘરું બની રહેશે. કારણ કે ટક્કર અઘરી છે.

સ્મૃતિ ઇરાની ઘરે ઘરે લોકપ્રિય બનેલી 'તુલસી વહુ' તરીકે જાણીતી છે. સાથે તેઓ રાજકારણમાં નવા નથી. ડિસેમ્બર 2013માં વિધાનસભા ચૂંટણીઓ બાદ સ્મૃતિ તરફથી રાહુલ ગાંધીને જ્યારે કોંગ્રેસની મજબૂરી કહેવામાં આવ્યા ત્યારથી જ તેમના ઇરાદા સ્પષ્ટ થઇ ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મૃતિ જેવી રીતે ફાયર બ્રાન્ડ વક્તા બન્યા છે તે જોતા ભાજપમાં તેમનું કદ વધ્યું છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
સ્મૃતિ ઇરાની દરેક મુદ્દે કોઇ પણ પ્રકારનો સંકોચ કે શરમ રાખ્યા વિના પોતાનો મત પાર્ટી સમક્ષ મુકે છે. તેના કારણે મતદારોમાં તેમની લોકપ્રિયતા વધી છે. આ સામે આપના ઉમેદવાર કુમાર વિશ્વાસ પોતાના નિવેદનોથી સ્મૃતિની લોકપ્રિયતાને ઓછી આંકવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ અમેઠીમાં સ્મૃતિની લોકપ્રિયતા માત્ર રાહુલ નહીં કુમાર વિશ્વાસનો 'વિશ્વાસ' ડગમગાવવા માટે પૂરતી છે.
સ્મૃતિ એક શક્તિશાળી વક્તા છે અને મતદારો પર પોતાની છાપ છોડશે એમાં બેમત નથી. ટીવીની લોકપ્રિયતા તેમને વધારે અસરદાર ઉમેદવાર બનાવે છે. આ કારણે જ જ્યારે સ્મૃતિએ અમેઠીમાં પ્રચાર શરૂ કર્યો ત્યારે કોંગ્રેસની ઊંઘ ઉડી ગઇ છે.
આ કારણે સ્પષ્ટ થઇ રહ્યું છે કે લોકસભા ચૂંટણી 2014માં અમેઠી બેઠકનું પરિણામ ભલે જે પણ હોય, પરંતુ સ્મૃતિની રાષ્ટ્રીય સ્તરે ઉપસ્થિતિ અને પાર્ટીમાં ઓછા સમયમાં તેમણે મેળવેલું મોટું કદ સ્પષ્ટ કરે છે કે તેઓ વાસ્તવમાં એક વિજેતા તરીકે બહાર આવ્યા છે. કોઇ પણ મુસીબતથી ગભરાવું નહીં તે સ્મૃતિની ખાસિયત છે. તેમની અવગણના કોઇ કરી શકે એમ નથી.
અમેઠીમાંથી તેમની ઉમેદવારી એ પણ દર્શાવે છે કે ભાજપ માટે તેઓ કેવી રીતે એક ટ્રમ્પ કાર્ડ સમાન બની ગયા છે. દેશના રાજકારણમાં ભાજપ જેમ જેમ આગળ આવી રહી છે તેમ તેમ તે નવા નેતાઓને તક આપવામાં આગળ વધી રહી છે. સ્મૃતિ ઇરાની અને મીનાક્ષી લેખી ભાજપની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.
સ્મૃતિ હોય કે મીનાક્ષી જે રીતે તેઓ બંને પેઢીઓના લોકોને પોતાની સાથે જોડી રહી છે અને મહિલા સશક્તિકરણના મુદ્દાઓની વકીલાત કરી રહી છે, તે જોતા લાગે છે કે બંને ભાજપની પ્રથમ હરોળની આગેવાન બનશે. સ્મૃતિ પોતાના ચીર-પરિચિત અંદાજમાં અમેઠીના લોકોને મતદાન આપવા અપીલ કરી રહ્યા છે.
આ વખતે ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની રાષ્ટ્રીય મુદ્દાઓને રાહુલ ગાંધી સામે જોર શોરથી ઉઠાવશે. ત્યારે એ જોવું રસપ્રદ બની રહેશે કે રાહુલ ગાંધી તેનો સામનો કેવી રીતે કરી શકે છે. સ્મૃતિ જે રીતે વિજેતાની જેમ આગળ વધી રહ્યા છે તે જોતા લાગે છે કે નજીકના ભવિષ્યમાં ભાજપ તેમને મહત્વની તક આપી શકે.












Click it and Unblock the Notifications
