એલોન મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થશે કે કેમ? જાણો સરકાર અને કંપની વચ્ચે ક્યાં પહોંચી વાતચીત?
લાંબા સમયથી એલોન મસ્કની કાર નિર્માતા કંપની ટેસ્લા ભારત આવવાની વાતો થઈ રહી છે. એક તરફ ટેસ્લા ભારત આવવા માટે ઉત્સુક છે તો બીજી તરફ ભારત સરકાર તેની જૂની શરતો પર કાયમ છે. હવે આ મામલે અધિકારીએ સ્થિતી સાફ કરી છે.
ગયા વર્ષે ટેસ્લાના સ્થાપક એલોન મસ્કે એક ટ્વિટમાં કહ્યું હતું કે, ભારત સરકાર સાથેના પડકારો ત્યાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના લોન્ચમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ઘણી રાજ્ય સરકારોએ ટેસ્લાને ઇલેક્ટ્રિક કાર બનાવવા આમંત્રણ આપ્યું છે.

હવે ભારતમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને એક મુલાકાતમાં કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યુ કે, કેન્દ્રએ હાલ આયાત ડ્યૂટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. અહેવાલો અનુસાર, નોડલ મંત્રાલયો સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, જો ટેસ્લા કોઈપણ પૂર્વશરતો વિના વાટાઘાટો કરવા તૈયાર છે તો સરકાર ટેસ્લા સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અંગે ચર્ચા કરશે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, જો કોઈ ફેરફાર કરવામાં આવે તો પણ આયાત ડ્યૂટીમાં ઘટાડો એ પૂર્વશરત ન હોય તેના પર ભાર મુકવામાં આવશે.
કેન્દ્ર સરકારના અધિકારીઓ અનુસાર, જો ભારતમાં ઘરેલુ ઉત્પાદન માટે ટેસ્લા તરફ સારી યોજના રજૂ કરે તો સરકાર કેટલીક છૂટછાટો પર વિચાર કરી શકે છે. આ વ્યવસ્થા તબક્કાવાર કરાશે.
જો કે બીજી તરફ એવો પણ જાવો કરવામાં આવી રહ્યો છે કે, આમાં સ્થાનિક ઉત્પાદન યોજનાના આધારે ડ્યુટીમાં કેટલીક છૂટછાટો શામેલ હોઈ શકે છે. છૂટછાટો ઉપરાંત PLI સ્કીમમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.
અહીં એ પણ જણાવી દઈએ કે, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સંકેત આપ્યા હતા કે ટેસ્લાની ડ્યુટી કાપની અગાઉની માંગને પૂર્વશરત તરીકે જોવામાં આવી હતી. ભારતમાં કોઈપણ મજબૂત યોજના વિના આ માંગ રાખવામાં આવી હતી.
તમામ બાબતો વચ્ચે એ જાણવુ જરૂરી છે કે, ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડને જાન્યુઆરી 2021માં ખાનગી કંપની તરીકે સામેલ કરાઈ હતી. ટેકનિકલી રીતે તે વિદેશી કંપનીની પેટાકંપની તરીકે વર્ગીકૃત કરાઈ છે.












Click it and Unblock the Notifications
