12 સસ્પેન્ડેડ સાંસદોનું સસ્પેન્શન આજે રદ્દ થશે? સરકારે વિરોધ પક્ષોની બેઠક બોલાવી
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષોના 12 સાંસદોને લઈને સોમવારના રોજ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સોમવારના રોજ સવારે 10 કલાકે સંસદભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.
નવી દિલ્હી : રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિરોધ પક્ષોના 12 સાંસદોને લઈને સોમવારના રોજ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સોમવારના રોજ સવારે 10 કલાકે સંસદભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં જે વિપક્ષી પાર્ટીઓના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ પક્ષોને એક પત્ર મોકલવામાં આવ્યો છે.
આ બેઠકમાં કોંગ્રેસ સહિત 4 વિપક્ષી દળો હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે, આ બેઠક સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ સહિત ચાર વિરોધ પક્ષોને બોલાવવામાં આવ્યા છે. જેમાં TMC, CPI, CPI(M) અને શિવસેનાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સોમવારની બેઠક માટે આ પક્ષોને આમંત્રણ મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે,વિપક્ષી દળો 12 સાંસદોના સસ્પેન્શનને હટાવવા માટે સતત વિરોધ કરી રહ્યા છે.
|
સંજય રાઉતે કરી આમંત્રણની પુષ્ટિ
શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ બેઠક માટે કેન્દ્ર સરકારના આમંત્રણની પુષ્ટિ કરી છે.
આ અંગે સંજય રાઉતે જણાવ્યું હતું કે, "પ્રહલાદ જોશીએ મને ચાર રાજકીયપક્ષો કોંગ્રેસ, TMC, CPI(M) અને CPIના નેતાઓ સાથે બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યો છે, જેમના રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં શિવસેનાના 2 સાંસદનો પણ સમાવેશ થાય છે.
સરકારની બેઠક પહેલા મલ્લિકાર્જુન ખડગે નિર્ણય લેશે
ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, કેન્દ્ર સરકારની આ બેઠક પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠક બોલાવી છે, જેમાં ચારેય પક્ષોનાનેતાઓ હાજરી આપશે.
આ બેઠક 10 કલાકે બોલાવવામાં આવી છે. સરકારના આમંત્રણ પર આ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારનું આમંત્રણ પણનકારવામાં આવી શકે છે, કારણ કે વિપક્ષે દાવો કર્યો હતો કે, જ્યાં સુધી 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.