નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2026 નું સમાપન, મુલાકાતીઓની સંખ્યામાં 20% થી વધુનો વધારો
નવી દિલ્હી વર્લ્ડ બુક ફેર 2026 આજે સંપન્ન થયો હતો. આ વર્ષે મફત પ્રવેશની પહેલને કારણે મુલાકાતીઓની સંખ્યામાં 20% વધારો જોવા મળ્યો છે. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળામાં 35 થી વધુ દેશોના 1,000 થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. નવ દિવસીય મેળામાં કુલ 600 થી વધુ કાર્યક્રમો યોજાયા હતા.

મફત પ્રવેશના નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રકાશકોએ જણાવ્યું કે મુલાકાતીઓની સંખ્યા વધતા પુસ્તકોના વેચાણમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. નેશનલ બુક ટ્રસ્ટના પુસ્તકોના વેચાણમાં 30% નો વધારો નોંધાયો છે. બાળકોના પુસ્તકો અને સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં વાચકોએ વધુ રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ વર્ષે કતાર 'ગેસ્ટ ઓફ ઓનર' દેશ અને સ્પેન 'ફોકસ કન્ટ્રી' તરીકે સહભાગી થયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે સાહિત્યિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે આ મેળો મોટું પ્લેટફોર્મ બન્યો હતો. મેળામાં ઇનોવેટિવ સ્ટોલ માટે વિવિધ પ્રકાશકોને પ્રશંસા પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં રાજકમલ પ્રકાશન, હાર્પર કોલિન્સ અને નોશન પ્રેસ જેવા મોટા નામ સામેલ છે.
મેળાનું મુખ્ય આકર્ષણ "ભારતીય સૈન્ય ઇતિહાસ: વીરતા અને જ્ઞાન @75" થીમ આધારિત પેવેલિયન હતું. અહીં અર્જુન ટેન્ક અને આઈએનએસ વિક્રાંત જેવી પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સેનાના વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાતીઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને નેતૃત્વ પર ચર્ચાઓ કરી હતી. આ પેવેલિયનમાં પરમવીર ચક્ર વિજેતાઓના જીવન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિત શાહ અને હેમા માલિની જેવી જાણીતી હસ્તીઓએ પણ આ સાહિત્યિક ઉત્સવની મુલાકાત લીધી હતી. બાળકો માટે 'કિડ્ઝ એક્સપ્રેસ' પેવેલિયનમાં વાર્તાલાપ અને વર્કશોપનું આયોજન કરાયું હતું. સાંજે રિકી કેજ જેવા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોએ મેળામાં વિશેષ રોનક જમાવી હતી.
આ સફળતા બાદ આગામી વર્લ્ડ બુક ફેર 16 થી 24 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાશે. આવતા વર્ષે પણ તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે મફત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
