નરેન્દ્ર મોદી માટે નંબર 13નો અંક શુભ સાબિત થશે?
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર : જો ભાજપનો ઇતિહાસ જોઇએ તો નંબર 13 ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી માટે શુકનિયાળ સાબિત થયો હતો. હવે સમય જ જણાવશે કે નંબર 13નો અંક આગામી લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે શુકનિયાળ સાબિત થશે કે નહીં. કારણ કે નરેન્દ્ર મોદીને 13 સપ્ટેમ્બર, 2013 શુક્રવારના રોજ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમના દેશોની માન્યતા અનુસાર શુક્રવારે જો 13 તારીખ આવે ત્યારે કોઇ શુભ કામ કરવાનું હોય તો તેને નિષેધ માનવામાં આવે છે. એટલે કે જો આ દિવસે કામનો આરંભ કરવામાં આવે તો તેનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી. વાજપેયી પહેલીવાર 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં ફરી 13 મહિના માટે વડાપ્રધાન બન્યા હતા.
ત્યાર બાદ વર્ષ 1999માં વાજપેયીને 13મી લોકસભામાં 13 ઓક્ટોબરના રોજ ત્રીજી વાર સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિએ આમંત્રિત કર્યા હતા. જો કે વર્ષ 2004ની ચૂંટણીઓમાં 13 મેનાના રોજ મતગણતરીમાં ભાજપે સત્તા ગુમાવવી પડી હતી. આ ચૂંટણીમાં વાજપેયીએ 13 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવી હતી.
દુનિયાભરમાં 13 અંકને અશુભ માનવામાં આવે છે. અનેક હોટલોમાં 13મા માળે અને 13 નંબરના રૂમ હોતા નથી. અનેક દેશોમાં હોસ્પિટલોમાં આ અંકના પલંગ નથી હોતા.